રામાયણ બે ભાગમાં બનશે, એક વર્ષ સળંગ શૂટિંગ ચાલતું રહેશે

May 21, 2024

મુંબઈ : રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ 'રામાયણ' બે ભાગમાં બનવાની છે. જોકે, બંને ભાગનું શૂટિંગ લગભગ સાથે સાથે જ ચાલવાનું છે.  આ ફિલ્મનું શૂટિંગ આગામી એક વર્ષ સુધી સળંગ ચાલતું જ રહેશે. કલાકારો વચ્ચે વચ્ચે તેમના બીજો પ્રોજેક્ટસ માટે પણ સમય આપતા રહેશે. રણબીર કપૂર અને સાઈ પલ્લવી માટે મહત્તમ દિવસોનું શૂટિંગ છે. તે પછી સની દેઓલ સહિતના કલાકારો પોતપોતાના પાર્ટનું શૂટિંગ આગળ વધારતા રહેશે.  ફિલ્મની ટીમે આયોજન એવું  કર્યું છે કે પહેલો ભાગ રીલિઝ થાય ત્યાં સુધીમાં બીજા ભાગનુ મોટાભાગનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ચૂક્યું હોય. આથી બંને ભાગની રીલિઝ વચ્ચે બહુ લાંબો ગેપ રહેશે નહીં. ગયા માર્ચથી આ ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ચૂક્યું છે. થોડા સમય પહેલાં રણબીર કપૂર અને સાઈ પલ્લવીનો લૂક પણ લીક થયો હતો. જોકે, હજુ સુધી નિર્માતા નિતેશ તિવારીએ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી નથી.