'સરકાર સાથે કોઈ લડાઈ નથી, મને માત્ર એથલેટ્સની ચિંતા',- સાક્ષી મલિક

December 24, 2023

દિલ્હી : રમત મંત્રાલયે રવિવારે મોટો નિર્ણય લેતા નવ નિયુક્ત કુશ્તી સંઘનો ભંગ કરી દીધો. જણાવી દઈએ કે, ગુરુવાર 21 ડિસેમ્બરે WFIની ચૂંટણી સંપન્ન થયા બાદ સતત વિવાદ ચાલી રહ્યો હતો. સાક્ષી મલિકે સંઘની આ ચૂંટણી પર વાંધો ઉઠાવ્યો હતો અને પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના બૂટ કાઢીને ટેબલ પર રાખી દીધા હતા અને કુશ્તીમાંથી સંન્યાસ લેવાનું એલાન કર્યું હતું. 
ત્યારબાદ રવિવારે જ્યારે રમત મંત્રાલયે નવનિયુક્ત સંઘનો ભંગ કર્યો તો પૂર્વ પહેલવાન સાક્ષી મલિકની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, સરકાર સાથે કોઈ લડાઈ નથી. લડાઈ માત્ર એથલેટ્સ માટે હતી. મને બાળકોની ચિંતા છે, અમારી લડાઈ મહિલા પહેલવાનો માટે છે. મેં સંન્યાસની જાહેરાત કરી દીધી છે પરંતુ હું ઈચ્છું છું કે, આવનારા પહેલવાનોને ન્યાય મળે. સંન્યાસના નિર્ણય અંગે સાક્ષીએ કહ્યું કે, જે નવું સંઘ બનશે તેના હિસાબથી નિર્ણય અંગે જણાવીશ.


સાક્ષી મલિકે કહ્યું કે, આ પહેલવાનોના સારા ભવિષ્ય માટે થયું છે. અમે તો કહેતા આવી રહ્યા છીએ કે બહેન-દીકરીઓની લડાઈ છે. આ પહેલું પગલું છે. હું તેનું સમર્થન કરું છું. અમે તો મહિલા અધ્યક્ષની માંગ કરી રહ્યા છીએ, જેથી બાળકીઓ સુરક્ષિત રહે.
જ્યારે સાક્ષીને સવાલ કરાયો કે સંજય સિંહ સરકાર વિરૂદ્ધ કોર્ટમાં જઈ શકે છે. જેના પર તેમણે કહ્યું કે, મેં હજુ સુધી રિપોર્ટ નથી જોયો અને હું પોતાની ટીમ સાથે વાત કર્યા બાદ તેના પર ટિપ્પણી કરીશ. મેં હજુ સુધી લેખિતમાં કંઈ પણ નથી જોયું. મને નથી ખબર કે માત્ર સંજય સિંહને સસ્પેન્ડ કરાયા છે કે આખા સંઘને સસ્પેન્ડ કરી દેવાયું છે.


બીજી તરફ ભાજપ સાંસદ અને WFIના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહે કહ્યું કે, કુશ્તી મહાસંઘ સાથે મારે કોઈ લેવા-દેવા નથી. સંજય સિંહ માત્ર મારા સારા મિત્ર છે. મહત્વનું છે કે, WFIના નવનિયુક્ત અધ્યક્ષ સંજય સિંહને ભાજપના સાંસદ બૃજભૂષણ સિંહના નજીકના માનવામાં આવે છે.