"ગંદા પાણીની દુર્ગંધથી હવે ઉલટી થાય છે" વડોદરાવાસીઓની PMO માં ફરિયાદ : કોર્પોરેટરો, સત્તાધીશોઓ ફોન ઉપાડતા નથી

August 31, 2024

વડોદરા : વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ઘૂસેલા પૂરના પાણી ઓસરી રહ્યા છે, અથવા તો ઓસરી ગયા છે. ત્યારે અટલાદરામાં આવેલી સાંઇરંગ હાઇટ્સ નામની સોસાયટીમાંથી રહીશો છેલ્લા પાંચ દિવસથી વધુ સમયથી પાણી ભરાઇ રહેવાની સમસ્યાના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રહીશો દ્વારા આ વિસ્તારમાં પાણી ભરાઇ રહેવાની મુશ્કેલી મીડિયા માધ્યમથી અગાઉ પણ ઉજાગર કરી હતી. પરંતુ તેમનું કોઇ સાંભળવા વાળું નથી. પૂરના પાણી પાંચ દિવસથી વધુ ભરાઇ રહેતા હવે તેમાંથી દુર્ગંધ આવવા લાગી છે.

જેથી સ્થાનિક યુવાક કુશાગ્ર પુરોહિતે લખ્યું કે, પાંચ દિવસથી પાણી રસ્તા પર ભરાઇ રહ્યા છે. હવે તેમાંથી નર્કાગાર જેવી દુર્ગંધ આવી રહી છે. જેથી લોકોને ઉલટીઓ થવાનું શરૂ થઇ ગયું છે. અટલાદરા વિસ્તારમાં આવેલી સાઇરંગ હાઇટ્સ તથા અન્ય સોસાયટીઓ તરફ જતા માર્ગ પર વિતેલા પાંચ દિવસથી પાણી ભરાયા છે અને તેનો નિકાલ થઇ રહ્યો નથી. આ પાણીએ હવે લોકો માટે મુશ્કેલી સર્જી છે. 

સ્થાનિક યુવાન કુશાગ્ર પુરોહિતે આ મામલે તંત્રની આંખ ખોલવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર પોતાની હૈયાવરાળ કાઢી છે. તેણે લખ્યું કે, અમારા વિસ્તારના 2500 લોકો પૂરના પાણીના કારણે ઘરમાં પૂરાઇ રહ્યા છે. અમારી મદદે કોઇ નથી આવતું. અમારી સમસ્યા અંગે કોઇ દરકાર નથી રાખતું. સ્થાનિક કોર્પોરેટર, પાલિકાના સત્તાધીશો કોઇ પણ અમારા ફોનકોલના જવાબ આપતા નથી.

વધુમાં ટ્વીટમાં તેઓ લખે છે કે, પાંચ દિવસથી પાણી રસ્તા પર ભરાઇ રહ્યા છે. હવે તેમાંથી નર્કાગાર જેવી દુર્ગંધ આવી રહી છે. જેથી લોકોને ઉલટીઓ થવાનું શરૂ થઇ ગયું છે. વડોદરા પાલિકા કેમ અમારી સમસ્યાઓની અવગણના કરી રહી છે. અમને માનસીક અને શારીરિક બિમારીની પરિસ્થિતીમાં ધકેલવા માટે તમારો આભાર.

કુશાગ્ર પુરોહિત દ્વારા જિલ્લા કલેક્ટર, સાંસદ ડો.હેમાંગ જોષી, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વડોદરા પાલિકાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટને ટેગ કરીને તેમની સમસ્યા ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એત્રે ઉલ્લેખીય છે કે, અગાઉ કુશાગ્ર દ્વારા વિસ્તારની સમસ્યા ઉકેલવા માટે પીએમઓમાં રજુઆત કરવામાં આવી હતી. છતાં આ સમસ્યાનો કોઇ કાયમી ઉકેલ લાવવવા માટે તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.