જમ્મુ અને કાશ્મીરમાં પત્તું કપાતા નારાજ વરિષ્ઠ નેતાએ રાજીનામું આપી દીધું

August 30, 2024

જમ્મુ : જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના સંબંધમાં ટિકિટ વિતરણને લઈને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ચંદ્રમોહન શર્માએ આજે પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે અને સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની ધમકી આપી. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ટિકિટની વહેંચણીને લઈને ભાજપમાં અસંતોષ છે. જમ્મુ ક્ષેત્રના ઘણા જિલ્લાઓમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આથી આ મામલો શાંત કરવાની જવાબદારી કેન્દ્રીય મંત્રીઓ તેમજ વરિષ્ઠ નેતાઓને સોંપવામાં આવી છે. 


પાર્ટીમાં ટિકિટ વિતરણ અંગે ચંદ્રમોહન શર્માએ કહ્યું હતું કે, 'ટિકિટોની અયોગ્ય વહેંચણીને લઈને પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ભારે અસંતોષ અને ગુસ્સો છે. તેઓ પોતાનો અસંતોષ વ્યક્ત કરવા વિરોધ કરી રહ્યા છે. હું ભાજપના સૌથી વરિષ્ઠ નેતાઓમાંથી એક છું અને હું અયોગ્ય વહેંચણીના કારણે દુઃખી છું. આથી અન્ય લોકો સાથે પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છું.'

ચંદ્રમોહન શર્માએ પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ ટિકિટ વિતરણની દરખાસ્તને અયોગ્ય રીતે રજૂ કરવા બદલ રાજ્ય પક્ષના નેતૃત્વની ટીકા કરી. તેઓ વ્યવસાયે વકીલ છે અને 1970ના દાયકામાં તેઓ પાર્ટી સાથે જોડાયા હતા. ચંદ્રમોહને કહ્યું હતું કે, 'મને આશા છે કે પાર્ટી મારું રાજીનામું સ્વીકારશે. જો કે, જો તેઓ જમ્મુ પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં ઉમેદવાર બદલવાના તેમના નિર્ણય પર પુનર્વિચાર કરે, તો તે સારું છે. નહિતર, હું જમ્મુ પૂર્વ બેઠક પરથી સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા ઈચ્છતા કાર્યકરોની ઓફરને સ્વીકારીશ.'