હરિદ્વાર જતી ભક્તોથી ભરેલી બસ સામે બળદ આવી જતાં પલટી, 18 ઘવાયા

August 30, 2024

શાહજહાંપુર : યુપીના શાહજહાંપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 18 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના એક બળદને બચાવવાના પ્રયાસમાં બની હતી જ્યાં બસ કાબૂ બહાર જતા પલટી ગઈ હતી.  મળતી માહિતી મુજબ શાહજહાંપુર જિલ્લાના સીતાપુરથી મુસાફરોને લઈને હરિદ્વાર જઈ રહેલી એક ખાનગી બસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બળદને બચાવવાના પ્રયાસમાં કાબૂ બહાર ગઈ અને પલટી ગઈ. આ અકસ્માતમાં 18 લોકો ઘાયલ થયા છે. જેની સારવાર ચાલી રહી છે.


આ ઘટના અંગે માહિતી આપતા પોલીસ એરિયા ઓફિસર (શહેર) સૌમ્ય પાંડેએ જણાવ્યું કે, સીતાપુરથી એક બસ મુસાફરોને લઈને હરિદ્વાર જઈ રહી હતી. ગુરુવારે રાત્રે લગભગ 1 વાગ્યે બસ થાના રામચંદ્ર મિશન વિસ્તારમાં હાઇવે પર પહોંચી હતી, ત્યારે અચાનક બસની સામે એક બળદ આવી જતા તેને બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ રોડની બાજુમાં પલટી ગઈ. આ અકસ્માતમાં 18 લોકો ઘાયલ થયા છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે સરકારી મેડિકલ કોલેજમાં મોકલ્યા હતા. કેટલાક ગંભીર રીતે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બાકીનાને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે.  મુસાફરોએ જણાવ્યું કે, અચાનક બળદ રસ્તા પર આવ્યો, જેને જોઈને ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવી પરંતુ બસ કાબૂ બહાર ગઈ અને પલટી ગઈ. આ પછી હોબાળો મચી ગયો હતો. અરાજકતા વચ્ચે કોઈક રીતે બધાને બહાર કાઢવામાં આવ્યા. પોલીસે પણ આવીને ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપ્યા હતા.