21 રાજ્યોમાં 2029 પહેલાં UCC લાગુ કરવાની કેન્દ્રની જાહેરાત

September 13, 2026

દેશમાં કાયદાકીય એકરૂપતા લાવવાના ઉદ્દેશ સાથે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ શાસિત 21 રાજ્યોમાં વર્ષ 2029 પહેલાં સમાન નાગરિક સંહિતા (UCC ) લાગુ કરવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુંબઈ ખાતે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.


હાલમાં દેશના કેટલાક રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં મહત્વના પગલાં ભરીને કાયદાકીય અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સફળતાને આગળ ધપાવતાં હવે ભાજપ અને તેના સહયોગી પક્ષોની સરકાર ધરાવતા તમામ 21 રાજ્યોમાં આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલાં તબક્કાવાર રીતે યુસીસી લાગુ કરવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. સમાન નાગરિક સંહિતાનો મુખ્ય હેતુ ધર્મ કે જાતિના ભેદભાવ વગર તમામ નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ મિલકત અને ભરણપોષણ જેવા અંગત કાયદાઓમાં સમાન નિયમો સ્થાપિત કરવાનો છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે બંધારણીય મૂલ્યો અને સમાન અધિકારોનું રક્ષણ કરવા માટે દેશભરમાં આવા સુધારા અત્યંત અનિવાર્ય છે.