બાલાઘાટમાં 30 થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ દીપકેએ મુખ્યમંત્રી પદેથી વ્યંગ્યાત્મક રાજીનામું આપ્યું

September 13, 2026

બાલાઘાટ- મધ્યપ્રદેશના બાલાઘાટમાં 30 થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ CJP (કોકરોચ જનતા પાર્ટી) ના સ્થાપક અભિજિત દીપકેએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદેથી વ્યંગ્યાત્મક રાજીનામું આપ્યું છે. તેમણે આરોગ્ય, શિક્ષણ, વીજળી અને અનુસૂચિત જનજાતિ સામેના અપરાધો જેવા મુદ્દા ઉઠાવીને સરકારની નીતિઓની આકરા શબ્દોમાં ટીકા કરી છે. કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક પોસ્ટ કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે લખ્યું કે, 'હું તાત્કાલિક અસરથી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપું છું. અંતમાં હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું કે, તેમણે મને મધ્ય પ્રદેશની જનતાની સેવા કરવાનો અવસર આપ્યો.'

આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર આ રાજીનામાની ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં CJP ના સ્થાપક અભિજિત દીપકેએ એક બનાવટી/વ્યંગ્યાત્મક 'રાજીનામા પત્ર' શેર કરીને મધ્ય પ્રદેશની ભાજપ સરકાર અને મુખ્યમંત્રી મોહન યાદવ પર નિશાન સાધ્યું હતું.
દીપકેની આ પોસ્ટ બાલાઘાટ પ્રવાસના એક દિવસ બાદ આવી છે, જ્યાં તેમણે 30 થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. તે સમયે કેટલાક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સે તેમની કાર પાસે પહોંચીને વિરોધ કર્યો હતો અને તીખા સવાલો પૂછ્યા હતા. દીપકેએ X પર જે પત્ર શેર કર્યો તેમાં સરકારી પ્રતિક, મુખ્યમંત્રી કાર્યાલયનું સરનામું અને બોગસ હસ્તાક્ષર પણ હતા. મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલને સંબોધિત આ પત્રમાં તેમણે લખ્યું કે, 30 થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ તેમની અંતરાત્મા આ પદ પર બની રહેવાની પરવાનગી આપતી નથી.