હૂતી મિસાઈલોથી ધ્રૂજ્યું સાઉદી અરેબિયા, મસ્જિદને અને સૈન્ય બેઝને નુકસાન

September 13, 2026

સાઉદી- હૂતી વિદ્રોહીઓ અને સાઉદી અરેબિયા વચ્ચેની લડાઈ અટકવાનું નામ નથી લઈ રહી. હૂતી વિદ્રોહીઓ સાઉદી અરેબિયા પર સતત હુમલા કરી રહ્યા છે. આ વખતે વિદ્રોહીઓની મિસાઈલની ઝપેટમાં એક મસ્જિદ આવી ગઈ હતી, આ સિવાય અસંખ્ય ઈમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ છે. હૂતીઓએ આ એટેક સાઉદી અરેબિયાના જાઝાન પ્રાંતમાં કર્યો છે. બિન-સરકારી સંગઠનોના જણાવ્યા અનુસાર આ લડાઈમાં અત્યાર સુધીમાં 500 થી વધુ લોકોના મોત થયા છે.


સાઉદી સિવિલ ડિફેન્સે જણાવ્યું કે, યમનના હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના દક્ષિણી જાઝાન વિસ્તારમાં મિસાઈલ વડે હુમલો કર્યો હતો, જેમાં બે લોકો ઘાયલ થયા છે, અને એક મસ્જિદ ક્ષતિગ્રસ્ત થઈ છે તથા અન્ય મસ્જિદોને નુકસાન પહોંચ્યું છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન અને સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બરની શરૂઆતમાં શરૂ થયેલી આ લડાઈમાં 500 થી વધુ લોકો માર્યા ગયા છે, અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. સિવિલ ડિફેન્સના પ્રવક્તાએ સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા સ્થળોને નિશાન બનાવવાની હૂતી વિદ્રોહીઓની કોશિશોને 'આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન' ગણાવ્યું છે, અને જણાવ્યું કે જરૂરી ઇમરજન્સી પ્રક્રિયાઓ લાગુ કરી દેવામાં આવી છે.


ઈરાનનું સમર્થન ધરાવતા હૂતી વિદ્રોહીઓએ જણાવ્યું કે, તેમણે દક્ષિણ નજરાન પ્રાંતના શરૂરાહમાં આવેલા સાઉદી સૈન્ય અડ્ડા પર બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. હૂતી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું કે હુમલામાં 'હથિયારોના ગોડાઉનો અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરો' ને નિશાન બનાવવામાં આવ્યા હતા. બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીએ દાવો કર્યો કે, તેમણે સાઉદી અરેબિયાના શરૂરાહ પ્રાંતમાં સૈન્ય અડ્ડાને નિશાન બનાવ્યો છે. સાથે જ તેમણે સાઉદી અરેબિયાને ચેતવણી આપી છે કે, જો વધુ સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે, તો સાઉદી ક્ષેત્રની અંદર આનાથી પણ મોટા અને શક્તિશાળી હુમલા કરવામાં આવશે. બાદમાં સાઉદી સિવિલ ડિફેન્સે જણાવ્યું કે ખમીસ મુશૈત વિસ્તારમાં રહેતા લોકો માટે ચેતવણી જારી કર્યા બાદ હવે ખતરો ટળી ગયો છે.