ઑસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન વિરુદ્ધ લોકો રસ્તા પર, ભારતીયોને પણ નિશાને લેવાયા

August 31, 2025

ઑસ્ટ્રેલિયામાં રવિવારે હજારો લોકોએ માર્ચ ફોર ઑસ્ટ્રેલિયા’ રેલીમાં ભાગ લીધો, જેનો મુખ્ય હેતુ મોટા પાયે થઈ રહેલા ઇમિગ્રેશનનો વિરોધ કરવાનો હતો. સરકારે આ આયોજનોને નફરત અને વંશવાદ ફેલાવનારા ગણાવ્યા, જેનો સંબંધ નિયો-નાઝી જૂથો સાથે હોવાનું પણ જણાવ્યું છે.


આ રેલીઓમાં ખાસ કરીને ભારતીય મૂળના લોકોને નિશાન બનાવવામાં આવ્યા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે છેલ્લા 5 વર્ષમાં આવેલા ભારતીયોની સંખ્યા 100 વર્ષમાં આવેલા ગ્રીક અને ઇટાલિયન પ્રવાસીઓ કરતાં વધુ છે, જેને 'સંપૂર્ણ રિપ્લેસમેન્ટ' ગણાવવામાં આવ્યું. 2013-2023 દરમિયાન ઑસ્ટ્રેલિયામાં ભારતીયોની વસ્તી બમણી થઈને 8.45 લાખ થઈ છે. 'માર્ચ ફોર ઑસ્ટ્રેલિયા’ના આયોજકો દાવો કરે છે કે તેમનું આંદોલન કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલું નથી. તેમનું માનવું છે કે મોટી સંખ્યામાં પ્રવાસીઓના આવવાથી સમાજની એકતા તૂટી છે અને તેઓ માત્ર ઇમિગ્રેશન રોકવાની માંગ કરે છે.
જોકે, ઑસ્ટ્રેલિયન સરકારે આ રેલીઓને નિયો-નાઝી જૂથો દ્વારા આયોજિત અને સમાજમાં ભાગલા પાડનારા ગણાવ્યા છે. મંત્રી મરે વોટ અને ઑસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સર્વિસ જેવી સંસ્થાઓએ આ રેલીઓની સખત આલોચના કરી છે અને તેને નફરત ફેલાવનારી ગણાવી છે.