પોરબંદરના યુવકની મોઝામ્બિકમાં હત્યા, મૃતદેહ વતન લવાયો

March 23, 2025

પોરબંદર : મૂળ પોરબંદરના તથા છેલ્લા 16 વર્ષથી મોઝામ્બિક ખાતે જનરલ સ્ટોર ધરાવતા યુવાનનું 3 માર્ચ, 2025ની રાત્રે ત્યાંના લુટારૂઓ અંધાધુંધ ફાયરીંગ કરીને અપહરણ થયું હતું. સમગ્ર મામલે પરિવારજનોએ ગૃહમંત્રીથી માંડીને પોરબંદરના સ્થાનિક નેતાઓને પણ જાણ કરી હતી. જ્યારે યુવક ઘાતકી રીતે હત્યા કરીને લાશને દાટી દેવાયો હોવાનું સામે આવ્યું છે. આજે રવિવારે યુવકના મૃતદેહને વતન લાવામાં આવતા પરિવારમાં શોક છયાવો હતો. 
મળતી માહિતી મુજબ, ગુજરાતના પોરબંદરના વિનય સોહનભાઈ સોનેજી (ઉં.વ. 36) છેલ્લા સોળ વર્ષથી મોઝામ્બિકના માપુટો ખાતે રહેતા હતા. વિનય માપુટોમાં 'ગેનાગેનાદ' (પધારો...પધારો) નામનો જનરલ સ્ટોર ચલાવીને વેપાર કરતાં હતા. જ્યારે ત્યાંની લોકલ ગેંગના લૂંટારૂઓએ વિનયનું અપહરણ કર્યું હતું. જેમાં વિગત એવી છે કે, 3 માર્ચની રાત્રે 8:10 કલાકે પોતાની શોપ વધાવીને ગુજરાતી સ્ટાફના બે માણસો અને એક ગાર્ડ સાથે દુકાન બંધ કરીને વિનય પોતાની ગાડી લેવા રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે અચાનક જ લૂંટારૂઓ એક કારમાં ત્યાં આવી પહોંચ્યા હતા. કારમાંથી બે શખ્સો હથિયાર સાથે ઉતર્યા અને અંધાધૂંધ ફાયરીંગ કરીને ગણતરીની સેકન્ડોમાં જ વિનયનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. 
સમગ્ર ઘટનાને લઈને લૂંટારૂઓએ વિનયના સાથીદારોને ફોન કરીને 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેને લઈને વિનય સાથે વાત કરાવવાની શરતે લૂંટારૂઓની માગને સ્વીકારવામાં આવી હતી. જેમાં આરોપીઓએ થોડા સમય પછી વાત કરાવીશું એમ કહ્યું હતું. જોકે, આ પછી ત્રણ દિવસથી વધુ સમય થયો છતાં લૂંટારૂઓનું ફોન આવ્યો ન હતો.