ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને અંકુશમાં લેવા માટે તૈયારીઓ શરૂ

August 27, 2024

કેનેડા બાદ ઓસ્ટ્રેલિયાએ પણ ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. ઓસ્ટ્રેલિયા વધતી જતી વિદેશી વિધાર્થીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટે ઓસ્ટ્રેલિયાની સરકારે  જણાવ્યું હતું કે  તે 2025 સુધીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણીની સંખ્યાને 2,70,000 સુધી મર્યાદિત કરશે. સરકારે જણાવ્યું હતું કે માઈગ્રેશનના કારણે મિલકતના ભાવમાં વધારો થતા આ નિર્યણ લેવામાં આવ્યો છે.

શિક્ષણમંત્રી જેસન ક્લેરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આજે અમારી યુનિવર્સિટીઓમાં કોરોના પહેલાની તુલનામાં લગભગ 10% વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે અને ખાનગી વ્યવસાયમાં લગભગ 50% થી વધુ લોકો છે, તેથી આના પર કડક પગલાં લેવાની યોજના બનાવવામાં આવી છે . આ પહેલા પણ સરકારે માઈગ્રેશનમાં વધારાને રોકવા માટે ગયા મહિને વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા ફી બમણી કરી હતી.

ઓસ્ટ્રેલિયાએ 2022 માં કોવિડ દરમિયાન કર્મચારીઓની અછત પૂરી કરવા માટે ભરતી કરવામાં મદદ મળી શકે તે માટે માઈગ્રેશનની મર્યાદામાં વધારો કર્યો હતો. જેના લીધે ઓસ્ટ્રેલિયામાં ભારત, ચીન અને ફિલિપાઈન્સના વિદ્યાર્થીઓની તેમજ કર્મચારીઓની સંખ્યા વધી હતી. જેના કારણે પ્રોપર્ટી માર્કેટમાં પણ માંગ વધતા મિલકતના ભાવમાં વધારો થયો હતો. તેમજ ઇમિગ્રેશન 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરા થતા વર્ષમાં રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે, જે જૂન 2023 ના રોજ પૂરા થયેલા વર્ષમાં 5,18,000 લોકો કરતાં 60% વધીને રેકોર્ડ 5,48,800 લોકો પર પહોંચી ગયું છે.

શિક્ષણમંત્રી જેસન ક્લેરે મંગળવારે જણાવ્યું હતું કે  2025 માં, સાર્વજનિકરૂપે યુનિવર્સિટીઓમાં લગભગ 1,45,000 નવા વિદ્યાર્થીઓ અને વ્યવસાયિક સંસ્થાઓમાં લગભગ 95,000 નવા વિદ્યાર્થીઓની મર્યાદા રાખવામાં આવશે. યુનિવર્સિટીમાં રજીસ્ટ્રેશનની સંખ્યા ઘટાડીને 1,45,000 અથવા 2023માં નક્કી કરવામાં આવેલા સ્તરની આસપાસ કરવામાં આવશે. 2025માં 30,000 નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નું રજીસ્ટ્રેશન કરી શકશે, જ્યારે વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ આપનારાઓની સંખ્યા માત્ર 95,000 સુધી મર્યાદિત રહેશે. તેમજ ઇમિગ્રેશનમાં ઘટાડો કરવા માટે જુલાઈ મહિનામાં વિઝા ફી પણ બમણી કરવામાં આવી હતી.

આ પહેલા કેનેડામાં પણ ટ્રુડો સરકારે વિઝા નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે, જે 21 જૂનથી અમલમાં આવ્યા છે. 21 જૂન, 2024 પછી, વિદેશી નાગરિકો પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે અરજી કરી શકશે નહીં. આ પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે. કેનેડાની સરકારે કહ્યું કે વિદેશી નાગરિકો હવે સરહદ પર પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે અરજી કરી શકશે નહીં. આ નિર્ણયને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે, જેની અસર સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે.