રામોજીની ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું નિધન

June 08, 2024

ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું શનિવારે સવારે અવસાન થયું. તેઓ 87 વર્ષના હતા અને ઘણા દિવસોથી બીમાર હતા. શનિવારે સવારે 3.45 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રામોજી રાવની હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમની તબિયત સતત બગડતાં તેમને 5 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. તેનને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ રામોજી રાવના નિધનથી ખૂબ જ દુઃખી છે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવી હતી. તેમના યોગદાનની પત્રકારત્વ અને ફિલ્મની દુનિયામાં અમીટ છાપ છોડી છે. તેમના અથાક પ્રયાસોને લીધે, તેમણે મીડિયા અને મનોરંજન જગતમાં નવીનતા અને શ્રેષ્ઠતા માટે નવા ધોરણો સ્થાપિત કર્યા. તેમણે કહ્યું કે રામોજી રાવમાં ભારતના વિકાસ માટે ઘણો જુસ્સો હતો. હું ભાગ્યશાળી છું કે મને તેમની સાથે મળવા અને વાત કરવાની ઘણી તકો મળી. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના.