શ્રેયસ અય્યર આટલું સારું તો રમે છે, ટેસ્ટ ટીમમાં કેમ સામેલ ન થઈ શકે?, સેહવાગે BCCIનો કર્યો વિરોધ

May 26, 2025

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનું એલાન થઈ ગયું છે. શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને કરુણ નાયરની 8 વર્ષ બાદ વાપસી થઈ છે. સાઈ સુદર્શન અને અનેક યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, શ્રેયસ અય્યરને ટેસ્ટ ટીમમાં સ્થાન નથી મળ્યું, જ્યારે તેનું પ્રદર્શન સારું રહ્યું છે. BCCIના આ નિર્ણયથી અનેક ચાહકો નારાજ છે અને અજીત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન સમિતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે હવે આ વચ્ચે  ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી શ્રેયસ અય્યરને સામેલ ન કરવા પર ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે BCCI પર સવાલ ઉઠાવ્યા છે. તેણે ટેસ્ટ ટીમમાં અય્યરને સામેલ ન કરવા પર ચર્ચા દરમિયાન કહ્યું કે, 'નિશ્ચિતરૂપે તેને તેની કેપ્ટનસીપ માટે વધુ શ્રેય નથી મળતો.' મનોજ (તિવારી) એ કહ્યું કે, 'રિષભ પંતને કેપ્ટનસીપ એટલા માટે ન મળી કારણ કે, તેની IPL સીઝન સારી રહી. પરંતુ અય્યરની સીઝન શાનદાર રહી છે, તે કેપ્ટન પણ છે. તે ટેસ્ટ ક્રિકેટ કેમ ન રમી શકે? તે ચોક્કસપણે ત્રણેય ફોર્મેટ રમી શકે છે.' શ્રેયસ અય્યર IPL સીઝન 18માં સૌથી વધુ ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેનોમાંથી એક રહ્યો છે. તેણે આ સીઝનમાં રમાયેલી 13 મેચમાં 488 રન બનાવ્યા છે. 2014 પછી આ પહેલી વાર છે જ્યારે પંજાબ કિંગ્સ પ્લેઓફમાં પહોંચ્યું છે, તે પણ તેની કેપ્ટનસીપમાં. સેહવાગ ઈચ્છે છે કે, અય્યરને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવો જોઈએ.  સેહવાગે કહ્યું કે, 'જ્યારે તમે સારા ફોર્મમાં હોવ છો, ત્યારે તેને પ્રવાસ પર લઈ જવાનું સારું છે, કારણ કે તેમના સારા પ્રદર્શનની શક્યતા વધુ હોય છે. હું ઈચ્છું છું કે તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવે. જો તે ટેસ્ટ ક્રિકેટમાં પણ આ જ વલણ અપનાવે તો તેનો ફાયદો ટીમને થશે. જો તમારી પાસે આવા 2-3 ખેલાડીઓ હોય તો તે વિરોધી ટીમમાં ડર પેદા કરે છે. ઈંગ્લેન્ડ 6-7 રન/ઓવરની ગતિએ રમે છે. જો ભારતીય ટીમ 4-5 રન/ઓવરની ગતિએ પણ રમે છે, તો તેઓ તેના પર દબાણ બનાવી શકે છે.'