IPLમાં ચેમ્પિયન બન્યા બાદ શું RCB વેચાઈ જશે? ફ્રેન્ચાઇઝીના માલિકોએ જુઓ શું જવાબ આપ્યો

June 11, 2025

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2025ની આખી સીઝનમાં ચર્ચામાં રહી. ટીમે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 18 વર્ષ બાદ પહેલી વખત ટ્રોફી પોતાના નામે કરી. તેના માટે પણ ટીમની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જોકે, ત્યારબાદથી RCB પર વિવાદોના વાદળો મંડરાઈ રહ્યા છે, કારણ કે, 4 જૂનના રોજ બેંગલુરુમાં થયેલી નાસભાગ બાદ RCBની બ્રાન્ડ વેલ્યુ પર તેની અસર પડી છે. આ વચ્ચે સમાચાર આવ્યા કે RCBની માલિકીને વેચવા પર વિચારણા થઈ રહી છે. જોકે, આમાં કોઈ સત્ય નથી. આ વાત RCBના માલિકોએ ખુદ કહી છે. વાસ્તવમાં IPLની ફ્રેન્ચાઇઝી RCBની માલિકી ડિયાજીઓ ઇન્ડિયા (Diageo India) પાસે છે, જે યુકે સ્થિત ડિયાજીઓ પીએલસીની ભારતીય શાખા છે. તેણે ટીમ વેચવાના સમાચારને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને BSE સર્વેલન્સ વિભાગને લખેલા પત્રમાં ડિયાજીઓ ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું છે કે, તેની યોજનાબદ્ધ વેચાણ અંગેના મીડિયા અહેવાલો માત્ર અટકળો છે. આ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે વર્તમાન માલિકો RCB વેચવાની કોઈ યોજના નથી ધરાવતા.  એક અહેવાલ પ્રમાણે કંપનીના સેક્રેટરી મિત્તલ સંઘવીએ ભારતીય શેરબજારની નિયામક સંસ્થાને જણાવ્યું કે, 'કંપની એ સ્પષ્ટ કરવા માગે છે કે ઉપરોક્ત મીડિયા અહેવાલો માત્ર અટકળો પર આધારિત છે અને અમે આ પ્રકારની કોઈ ચર્ચા નથી કરી રહ્યા. આ તમારી માહિતી અને રૅકોર્ડ માટે છે.' વાસ્તવમાં મીડિયામાં RCB વેચવાના અહેવાલો આવતાંની સાથે જ ઘણા શેરના ભાવમાં વધારો-ઘટાડો થવા લાગ્યો હતો. આવી સ્થિતિમાં BSI એ RCBના માલિકોને ઈમેઇલ કર્યો હતો જેનો 'Diageo India' એ જવાબ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો કે, ડિયાજિયો RCB ફ્રેન્ચાઇઝીને વોચવાનો વિકલ્પ તલાશી રહી છે. આ રિપોર્ટ 2008માં લીગની શરુઆત બાદ પ્રથમ વખત IPLમાં RCBની જીત અને ત્યારબાદ બેંગલુરુમાં થયેલી દુર્ઘટનાની પૃષ્ઠભૂમિમાં આવી છે, જ્યાં 4 જૂનના રોજ જીતનો જશ્ન મનાવતી વખતે 11 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા છે.