ઑસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયામાં થશે સ્ટાર ખેલાડીની એન્ટ્રી? જાણો કોનું કપાઈ શકે પત્તું

March 03, 2025

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઇન્ડિયાએ સતત ત્રણ મેચમાં વિજય મેળવ્યો  છે, જેમાં બાંગ્લાદેશ વિરુદ્ધ કેએલ રાહુલે ભલે ફિલ્ડર ઑફ ધ મેચનો ખિતાબ જીત્યો હોય, પરંતુ વિકેટકીપર બેટર પોતાની ફોર્મ જાળવી શક્યો નથી. કેએલ રાહુલે આ ત્રણ મેચમાં અનેક ભૂલો કરતાં કૅપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટની મુશ્કેલીઓ વધારી દીધી છે. જેના લીધે ઓસ્ટ્રેલિયા સામે આવતીકાલે રમાનારી સેમિફાઇનલ મેચમાં તેને આરામ આપવામાં આવી શકે છે.  ટીમ ઇન્ડિયાએ આ ટુર્નામેન્ટ માટે કેએલ રાહુલની વિકેટકીપર તરીકે પ્રથમ પસંદગી કરી હતી. જ્યારે ઋષભ પંતને બેકઅપ તરીકે રાખ્યો હતો. હવે સવાલ એ છે કે, ભારતીય ટીમ મેનેજમેન્ટ મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયાને ટક્કર આપવા માટે સેમિફાઇનલમાં કેએલ રાહુલના સ્થાને ઋષભ પંતને ઉતારશે કે કેમ? ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ કેએલ રાહુલે સૌથી પહેલા કેન વિલિયમસનનો કેચ છોડ્યો, તે સમયે વિલિયમસને માત્ર એક જ રન બનાવ્યો હતો. કેચ છોડ્યા બાદ ફૂલ ફોર્મમાં વિલિયમસને 81 રન ફટકાર્યા હતા. 26મી ઓવરમાં કેએલ રાહુલ કુલદીપ યાદવની બોલિંગ પર ટોમ લેથમનો કેચ પકડવામાં નિષ્ફળ રહ્યો હતો. કેએલ રાહુલે કેચ છોડ્યા બાદ ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્માએ નિરાશા વ્યક્ત કરી હતી. ભલે ભારતીય ટીમની ન્યૂઝીલૅન્ડ સામે જીત થઈ હોય, પરંતુ સેમિફાઇનલમાં આ પ્રકારની ભૂલોને અવગણી શકાય નહીં. જો તેને દૂર કરવામાં ન આવી તો ફાઇનલમાં સ્થાન બનાવવું મુશ્કેલ બની શકે છે. કેએલ રાહુલે ભલે ગમે-તેટલી ભૂલો કરી હોય પરંતુ ટીમ ઇન્ડિયાનો સપોર્ટ અને કૅપ્ટનનો વિશ્વાસ અણનમ છે. જો કે, વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાની કરેલી ધુલાઈને ધ્યાનમાં લેતાં ટીમ મેનેજમેન્ટ ઋષભ પંતને રમવાની તક આપશે તેવો અંદાજ નિષ્ણાતો આપી રહ્યા છે.