ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં મહાનદીમાં બોટ પલટતાં 1 મહિલાનું મોત,7 લોકો હજુ ગુમ

April 20, 2024

ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં શુક્રવારે (19 એપ્રિલ) સાંજે એક મોટો અકસ્માત થયો હતો. જે બોટમાં 50થી વધુ લોકો સવાર હતા તે મહાનદીમાં પલટી ગઈ હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે, તેનો મૃતદેહ પણ મળી આવ્યો છે. 3 બાળકો સહિત 7 લોકો હજુ પણ ગુમ છે. શનિવારે ડાઇવર્સ અને એસડીઆરએફની ટીમ બચાવમાં લાગેલી છે. ઓડિશા સરકારે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. રાજ્યના સીએમ નવીન પટનાયકે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બોટ પાથરસેની કુડાથી બરગઢ જિલ્લાના બાંજીપલ્લી જઈ રહી હતી. તેમાં 50 થી વધુ લોકો હતા. હોડી ઝારસુગુડા જિલ્લાના રેંગાલી પોલીસ સ્ટેશનની હદમાં સારદા ઘાટ પર પહોંચી કે તરત જ તે પલટી ગઈ. સ્થળ પર હાજર માછીમારોએ શુક્રવારે સાંજે જ 35 લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ 7 લોકોને બચાવી લીધા હતા. બચાવ ટીમે જણાવ્યું કે શનિવાર સવાર સુધી 47-48 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.

ફાયરના ડીજી સુધાંશુ સારંગીએ જણાવ્યું કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અમારી પાસે સ્કુબા ડાઇવર્સ છે. પાણીની અંદર કેમેરા સાથે બે નિષ્ણાત સ્કુબા ડાઇવર મોકલવામાં આવ્યા છે. બચાવકાર્ય માટે ભુવનેશ્વરથી ઝારસુગુડા પહોંચવા માટે તાત્કાલિક એક ટીમ મોકલવામાં આવી રહી છે.