બાંગ્લાદેશમાં હાલત બેકાબૂ: કટ્ટરપંથીઓએ સૂફી સંતનો મૃતદેહ કબરમાંથી કાઢી આગ લગાવી

September 06, 2025

જાતીય પાર્ટીની ઓફિસને આગ લગાવી, 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત, જાતીય પાર્ટીના કાર્યાલય પર હુમલો 

પશ્ચિમ રાજબારી : બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી ગઈ છે. શુક્રવારે બાંગ્લાદેશમાં જૂમાની નમાઝ બાદ હિંસા ભડકી ઉઠી હતી. ઈસ્લામિક કટ્ટરપંથીઓએ જૂમાની નમાઝ બાદ બે કાળજુ કંપાવનારી ઘટનાને અંજામ આપ્યો હતો. સૌથી પહેલા આ કટ્ટરપંથીઓએ જૂમાની નમાઝ એક સૂફી સંતની કબરને અપવિત્ર કરી અને ત્યારબાદ આ કટ્ટરપંથીઓએ તેમના મૃતદેહને કબરમાંથી કાઢી આગ લગાવી દીધી. બીજી તરફ જાતીય પાર્ટીની ઓફિસને આગ લગાવી દીધી. હિંસાની આ તાજેતરની ઘટનાએ આખા બાંગ્લાદેશને હચમચાવી મૂક્યો છે. બાંગ્લાદેશમાં ગત વર્ષે થયેલા તખ્તાપલટ બાદથી દેશમાં હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે. મુસ્લિમ કટ્ટરપંથી સતત દેશના લઘુમતીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. 


બાંગ્લાદેશની લોકલ મીડિયાએ શનિવારે જણાવ્યું કે, બાંદગ્લાદેશની જાતીય પાર્ટીના ઢાકા સ્થિત કેન્દ્રીય કાર્યાલયમાં કટ્ટરપંથીઓએ તોડફોડ કરી અને આગ લગાવી દીધી. 10 દિવસમાં આ બીજી ઘટના છે. આ ઘટના શુક્રવારે મોડી સાંજે ઘટી હતી, જ્યારે અન્ય એક રાજકીય પક્ષ, ગોનો અધિકાર પરિષદના નેતાઓએ રાજધાનીના શાહબાગ ખાતે એક રેલી યોજી અને જાપા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી. આ ઘટનાની પુષ્ટિ કરતા ફાયર સર્વિસીસ અને સિવિલ ડિફેન્સ હેડક્વાર્ટરના કંટ્રોલ રૂમના ડ્યુટી ઓફિસર રોજીના અખ્તરે જણાવ્યું કે, અમને સાંજે લગભગ 7:00 વાગ્યે સૂચના મળી હતી કે કેટલાક લોકોએ જાતીય પાર્ટીના કાર્યાલય પર ઈંટો અને પથ્થર ફેંક્યા અને પછી તેને આગ લગાવી દીધી.'

બાંગ્લાદેશના પશ્ચિમ રાજબારી જિલ્લામાં 5 સપ્ટેમ્બરના રોજ શુક્રવારની નમાજ પછી કેટલાક મુસ્લિમ કટ્ટરપંથીઓએ ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી. આ કટ્ટરપંથીઓએ સૂફી દરવેશ નૂરા પગલાની કબરને પોતાના આતંકનો શિકાર બનાવી. હજુ બે અઠવાડિયા પહેલા જ નૂરા પગલાનું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને કબરમાં દફનાવવામાં આવ્યો હતો. આ કટ્ટરપંથીઓએ સૂફી દરવેશ નૂરા પગલાની કબર ખોદી, તેમના મૃતદેહને બહાર કાઢ્યો અને તેને આગ લગાવી દીધી. આ સાથે જ તેઓએ તેમની દરગાહમાં પણ તોડફોડ કરી. આ દરમિયાન નૂરા પગલાના કેટલાક અનુયાયીઓની આ કટ્ટરપંથીઓ સાથે અથડામણ થઈ હતી. આ હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મોહમ્મદ યૂનુસના નેતૃત્વ વાળી વચગાળાની સરકાર હેઠળ બાંગ્લાદેશમાં વધતી રાજનીતિક હિંસા વચ્ચે એક અઠવાડિયાની અંદર આ પ્રકારનો આ બીજો હુમલો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે અચાનક કેટલાક કટ્ટરપંથીઓએ જાતીય પાર્ટીના કાર્યાલય પર હુમલો કરી દીધો. તેઓએ અંદરનું ફર્નિચર તોડી નાખ્યું અને આગ લગાવી દીધી.  જાપા મહાસચિવ શમીમ હૈદર પટવારીએ આ હુમલાની સખત નિંદા કરી અને કહ્યું કે પાર્ટી તેના માટે ગોનો અધિકાર પરિષદને જવાબદાર ઠેરવે છે.