બાંગ્લાદેશને મોટો ઝટકો, T20 વર્લ્ડકપની મેચ ભારત બહાર યોજવાની માગ ICC એ ફગાવી!

January 07, 2026

IPLમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને કેકેઆર ટીમમાંથી બહાર કરવામાં આવ્યા બાદથી વિવાદ સર્જાયો છે. આ વિવાદને પગલે બાંગ્લાદેશે આગામી ટી-20 વર્લ્ડકપમાં ભારતમાં રમવાનો ઈનકાર કરતાં તેની મેચ પાકિસ્તાનની જેમ ભારતની બહાર યોજવાની માગણીઓ કરી હતી. જોકે આઈસીસીએ તેની આ માગણીઓ ફગાવી દેતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને મોટો ઝટકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર બાંગ્લાદેશે ભારતમાં જ મેચ રમવી પડશે અથવા પોઈન્ટ્સ ગુમાવવા માટે તૈયાર રહેવું પડશે.  સૂત્રોએ જણાવ્યું હતું કે આઈસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) ને જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર ભારતમાંથી બહાર મેચ રમવાનો આગ્રહ નકારવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશે T20 વર્લ્ડકપ રમવા માટે ભારત આવવું પડશે નહીંતર તેણે પોઈન્ટ ગુમાવવા પડશે.  બીજી બાજુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે હજુ સુધી આઈસીસી દ્વારા અમારી માગણીઓ ફગાવાઈ હોય તેવી અમને કોઈ જાણકારી મળી નથી. ખરેખર તો આઈપીએલ ટીમ કેકેઆર દ્વારા બીસીસીઆઈના દબાણને પગલે બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા બાદથી વિવાદ ચગ્યો છે. કેમ કે ભારતમાં લોકો બાંગ્લાદેશીઓનો વિરોધ કરવા લાગ્યા છે જેનું કારણ છે બાંગ્લાદેશની તાજેતરની હિંસામાં માર્યા ગયેલા હિન્દુઓ. ઉલ્લેખનીય છે કે મુસ્તફિઝુર રહેમાનને કેકેઆર દ્વારા આઈપીએલની હરાજીમાં 9.20 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.