કેનેડાના 41 રાજદૂતો ભારતના 'આંતરિક મુદ્દામાં કરતા હતા દખલગીરી- વિદેશ મંત્રાલય

October 20, 2023

ગંભીર આક્ષેપો બાદ વિદેશ મંત્રાલયે પણ આપ્યો સણસણતો જવાબ


નવી દિલ્હી : ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિર્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે. કેનેડાએ ભારત પર ગંભીર આરોપ લગાવી પોતાના 41 રાજદ્વારીઓને ભારતમાંથી પરત બોલાવી લીધા હોવાનું જણાવ્યું છે, તો ભારતે પણ કેનેડાના આરોપોનો સણસણતો જવાબ આપી ‘ભારતમાંથી જનારા 41 કેનેડીયન રાજદ્વારી’ અંગે મહત્વની પ્રતિક્રિયા આપી છે.


વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi)એ નિવેદનમાં જણાવ્યું કે, કેનેડા સરકારે 19મી ઓક્ટોબર ગુરુવારે રાજદ્વારીઓ અંગે નિવેદન આપ્યું હતું, જે અમારા ધ્યાને આવ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં કેનેડાના રાજદ્વારીઓ વધુ છે, તેઓ આપણા આંતરિક મુદ્દામાં સતત દખલગીરી કરે છે. બાગચીના જણાવ્યા મુજબ નવી દિલ્હી અને ઓટાવામાં એકબીજાના રાજદ્વારીઓની હાજરી સમાન હોવાની ગેરંટી છે. આ મામલે અમે ગયા મહિનાથી કેનેડાની સરકાર સાથે વાત કરી રહ્યા છીએ. આ સમાનતાને લાગુ કરવાનો અમારો નિર્ણય યોગ્ય છે. અમે વિયેના કન્વેન્શનની કલમ 11.1 હેઠળ આ નિર્ણય લીધો છે, તેથી અમે આ મામલાને આંતરરાષ્ટ્રીય નિયમોના ઉલ્લંઘન તરીકે દર્શાવવાના કોઈપણ પ્રયાસનો અસ્વિકાર કરીએ છીએ.