'પહેલા ફિટનેસ સાબિત કરો પછી જ..', હાર્દિક પંડયા-રોહિત શર્માને BCCIનું કડક અલ્ટિમેટમ

June 03, 2026

અફઘાનિસ્તાન સામે રમાનારી આગામી ત્રણ મેચોની વન-ડે સિરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) એ કડક વલણ અપનાવતા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રોહિત શર્માને અલ્ટીમેટમ આપ્યું છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવતા પહેલા ફિટનેસ સાબિત કરો. આમ, બંને ખેલાડીઓએ બેંગલુરુ સ્થિત 'સેન્ટર ઓફ એક્સેલન્સ' (CoE) ખાતે પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. BCCI દ્વારા અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ હાર્દિક પંડ્યા અને રોહિત શર્માના નામની આગળ ફિટનેસની શરત મૂકવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાર્દિક પંડ્યા 2 જૂન બેંગલુરુ સ્થિત BCCI સેન્ટર ઓફ એક્સીલન્સ પહોંચી ગયો છે, જ્યાં તે એક સપ્તાહ કરતાં વધુ સમય સુધી સખત ફિટનેસ ડ્રિલ અને શારીરિક આકલન માંથી પસાર થશે. મેડિકલ ટીમ તરફથી 'રીટર્ન ટુ પ્લે' (RTP) ક્લિયરન્સ મળ્યા બાદ જ મેદાન પર તેના રમવા અંગે અંતિમ નિર્ણય લેવાશે.
ઉલ્લેખનીય છે કે, IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે હાર્દિક પંડ્યાને પીઠના દુખાવાની ગંભીર સમસ્યા નડી હતી, જેના કારણે તે કેટલીક મેચો રમી શક્યો ન હતો. હાર્દિકે પોતાની છેલ્લી વન-ડે મેચ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. બીજી તરફ, રોહિત શર્મા પણ IPL દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાતો હતો. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ રોહિત શર્માની ફિટનેસ અંગે બચાવ કરતા દાવો કર્યો હતો કે, રોહિત હવે 100 ટકા ફિટ છે. IPL માં રોહિતનો 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે ઉપયોગ માત્ર ટીમની રણનીતિનો એક ભાગ હતો અને તેનો ફિટનેસ સાથે કોઈ સંબંધ નહોતો. જોકે, BCCI કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી.