કેનેડાથી દુઃખદ સમાચાર, ભારતના 22 વર્ષીય વિદ્યાર્થીની નિર્દય હત્યા, પરિવારજનો આઘાતમાં

September 07, 2024

કેનેડામાં 22 વર્ષના શીખ યુવકની હત્યા ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર, આલબર્ટાના એડમોન્ટન પાર્કિંગમાં બુધવારે (ચોથી સપ્ટેમ્બર) તીક્ષ્ણ હથિયાર વડે જશનદીપ સિંહ માનની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે 40 વર્ષીય એડગર વિસ્કર પર સેકન્ડ-ડિગ્રી મર્ડરનો આરોપ લગાવ્યો છે. આઠ મહિના પહેલા તે વિદ્યાર્થી તરીકે કેનેડા ગયો હતો. જશનદીપ પંજાબના માલેરકોટલાના બદલા ગામનો રહેવાસી હતો.

પોલીસના જણાવ્યાનુસાર, 'હત્યામાં બોક્સ કટરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. એવું લાગે છે કે હત્યારો અને મૃતક અગાઉથી પરિચિત ન હતા.' મૃતકના પિતા ભરપુર સિંહે કહ્યું કે, 'કેનેડાના વહીવટીતંત્રે આ હત્યાની ઝીણવટભરી તપાસ કરવી જોઈએ. અમે માત્ર એ જાણવા માંગીએ છીએ કે હત્યા શા માટે થઈ. હત્યારાએ જશનદીપને અમારી પાસેથી છીનવીને અમારી દુનિયાને બરબાદ કરી નાખી.'

પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા પ્રીતિપાલ કૌર બાદલે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે, કેનેડાથી જશનદીપ સિંહ માનનો મૃતદેહ પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. ગ્રામજનોએ વડાપ્રધાન મોદીને પણ આ મામલાને રાજદ્વારી સ્તરે લઈ જવાની અપીલ કરી છે. લોકોની માંગ છે કે ભારતથી વિદેશ જતા વિદ્યાર્થીઓ સાથે બનતી આવી ઘટનાઓને ગંભીરતાથી લેવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં એડમન્ટનમાં એક શીખ યુવક અને તેના 11 વર્ષના પુત્રની હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ હરપ્રીત સિંહ ઉપ્પલ તરીકે થઈ હતી. બંનેને ગોળી મારી દેવામાં આવી હતી. એક તરફ કેનેડા વિચાર્યા વગર નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવવા તૈયાર હતું, તો બીજી તરફ કેનેડાની ધરતી પર થઈ રહેલી ભારતીયોની હત્યા પ્રત્યે તેનું વલણ ઢીલું લાગે છે.