પાકિસ્તાનને ભારે પડશે બૉયકોટનો ડ્રામા! હવે એક્શન લેવાની તૈયારીમાં ICC: રિપોર્ટ

February 03, 2026

પાકિસ્તાન સરકારના એક વિવાદાસ્પદ નિર્ણયને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સામસામે આવી ગયા છે. પાકિસ્તાન સરકારે રવિવારે રાત્રે જાહેરાત કરી કે તેમની ટીમ T20 વર્લ્ડ કપ 2026માં રમશે, પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામે યોજાનાર હાઈ-પ્રોફાઈલ મેચનો બહિષ્કાર કરશે. હવે આ મામલે ICC પાકિસ્તાન પર મોટી એક્શન લેવાની તૈયારીમાં છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ICC આ મામલે આગળની કાર્યવાહી માટે ટૂંક સમયમાં બેઠક બોલાવી શકે છે. ICC બોર્ડની બેઠક મંગળવારે અથવા બુધવારે થઈ શકે છે.  પાકિસ્તાન સરકારે 2 ફેબ્રુઆરીના રોજ રાત્રે સોશિયલ મીડિયાના માધ્યમથી એ જાહેરાત કરી કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં ભારત સાથેની મેચ નહીં રમશે. આ મામલે હવે નવો વળાંક આવ્યો છે. વાસ્તવમાં સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICCને સત્તાવાર રીતે જાણ નથી કરી કે તે ભારત સામેની મેચનો બહિષ્કાર કરવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા બાંગ્લાદેશે સુરક્ષા કારણોનો હવાલો આપીને ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો ઈનકાર કરી દીધો હતો. આ મુદ્દે ખૂબ હોબાળો મચ્યો હતો અને અંતે ICCએ મોટી કાર્યવાહી કરતા બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકી દીધું અને તેના સ્થાને સ્કોટલેન્ડને સામેલ કર્યું. હવે પાકિસ્તાને પણ કંઈક આવો જ નિર્ણય લઈને પોતાના પર પ્રતિબંધોની સંભાવનાને ખુલ્લું આમંત્રણ આપી દીધું છે.  અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, PCB ચીફ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ ભારત સાથેની મેચના બહિષ્કાર પર મૌન સાધ્યું છે. જ્યારે નકવીએ સમગ્ર T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમો બહિષ્કાર કરવાની વાત કહી હતી.  આ જ મીડિયા રિપોર્ટ પ્રમાણે જો પાકિસ્તાન 15 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયા સામે મેચ નહીં રમે તો ICC તેની સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. આના કારણે પાકિસ્તાનને ટુર્નામેન્ટમાં બે પોઈન્ટ ગુમાવવા પડશે અને તેના નેટ રન રેટમાં પણ નુકસાનનો સામનો કરવો પડશે.