દોઢ કરોડની કારથી બે લોકોના ભોગ લેનાર સગીર નબીરાને 15 કલાકમાં જામીન મળ્યા

May 20, 2024

પુણેના જાણીતા બિલ્ડર વિશાલ અગ્રવાલના સગીર પુત્ર વેદાંત અગ્રવાલએ મધરાતે પોતાની લક્ઝરી પોર્શે કાર બેફામ હંકારી અનેક વાહનોને અડફેટે લીધાં હતાં. તેમાંથી એક બાઈક સવાર યુવક અને યુવતીનાં મોત નીપજ્યાં હતાં. 

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ અકસ્માતના સંબંધમાં આરોપી સગીરના પિતા અને સગીરને દારૂ આપનાર બાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવશે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ભયંકર અકસ્માતના માત્ર 15 કલાકમાં જ આરોપીને જામીન મળી ગયા હતા.
કયા આધારે જામીન આપવામાં આવી?

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ વેદાંતને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ પછી તેને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી જ તેને જામીનમળ્યા હત. કોર્ટે જામીન આપતા સમયે કેટલીક કડક શરતો પણ લાદી હતી. કોર્ટે આરોપીને અકસ્માત પર નિબંધ લખવા સાથે 15 દિવસ સુધી યરવડા ટ્રાફિક પોલીસમાં કામ કરવાનો નિર્દેશ આપ્યો છે. સગીરને આલ્કોહોલ છોડવામાં મદદ કરવા માટે ડૉક્ટરની માનસિક સલાહ લેવા માટે પણ કહેવામાં આવ્યું છે.

શનિવારે મધરાત્રે અઢી વાગ્યે કલ્યાણી નગરના એક પબમાંથી નીકળ્યા બાદ તેની હાઇ એન્ડ પોર્શે લક્ઝરી કારમાં પૂરપાટ વેગે રવાના થયો હતો. સગીરની લક્ઝરી કારે બાઇક પર પસાર થતા અનિસ અવધિયા અને અશ્વિની કોસ્ટાની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં બન્ને યુવાનો ઉછળીને નીચે પડયા હતા અને બન્નેના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા.

સગીરે બાઇકને ટક્કર માર્યા બાદ તેની કારે અને વાહનોને પણ અડફેટમાં લીધા અને અંતે રેલિંગ સાથે અથડાઈ ત્યાં જ ઊભી રહી ગઈ હતી. આ ઘટનાને લીધે દોડી આવેલા લોકોએ સગીરને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ થયો છે, જેમાં સગીર અકસ્માતમાં નુકસાન પામેલ કારમાંથી બહાર આવવાનો પ્રયાસ કરતો નજરે પડે છે.

આ ઘટના બાદ મૃતક અનિલ અને અશ્વિનીના મિત્ર અકીબ રમઝાન મુલ્લાએ યરવડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસીની કલમ 279, 304a, 337, 338 અને મોટર વેહિકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરી છે.