સુરતમાં કરોડો રૂપિયાના જમીનકાંડ મામલે મોટી કાર્યવાહી, IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા

June 10, 2024

સુરત- સુરતમાં બહાર આવેલા કરોડોના જમીન કૌભાંડે રાજ્યમાં મોટો ખળભળાટ મચાવી દીધો હતો. જેમાં કરોડોની સરકારી જમીન બિલ્ડરોને પધરાવી દેવાઈ હતી. હવે આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડુમસ જમીન કૌભાંડ મામલે IAS આયુષ ઓકને વલસાડના કલેક્ટર પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે આ મામલામાં તે સમયના સુરતના કલેક્ટર આયુષ ઓકનું નામ પણ ઉછળ્યું હતું. 
લોકસભા ચૂંટણીના કારણે મોટા પાયે બદલીઓ કરવામાં આવી હતી ત્યારે સુરતના કલેક્ટર આયુષ ઓકની બદલી વલસાડ કરવામાં આવી હતી. જો કે તેમની બદલી થઈ તે પહેલાં જ તેમણે અનેક વિવાદાસ્પદ ઓર્ડરો પર સહી કરી નાખી હોવાના આક્ષેપો થયા હતા. જેમાં સરકારી જમીનો બિલ્ડરોને આપવાના કૌભાંડનો ખુલાસો થયો હતો. આ મામલે સરકાર કેવાં પગલાં ભરે છે એની તરફ સૌની નજર હતી. 


જે વિગતો સામે આવી છે તે મુજબ ડુમસ ગામના સરવે નંબર 311/3વાળી 2,17,216 ચોરસ મીટર જગ્યા સરકારી શીર પડતર તરીકે 1948-49 ના વર્ષથી હતી. સરકારી જમીન હોવા છતાં તેમાં કબજેદાર તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસનું નામ ગણોતિયા તરીકે નોંધ નંબર 582 અંતર્ગત દાખલ કરવામાં આવેલું હતું. અત્રે જણાવવાનું કે સરકારી જમીનમાં ગણોતિયા તરીકે નામ દાખલ થઈ શકે નહીં પરંતુ આમ છતાં ખોટી રીતે નામ જોવા મળ્યું.
એટલું જ નહીં ત્યારબાદ સરકારી શીરે પડતર લખેલી જગ્યા ઉપર પણ લીટી દોરીને ડેરી કંપનીના મેનેજર વી.સી.જાદવનું નામ દાખલ કરાયું હતું. તમને જણાવી દઈએ કે આ પ્રકારે કોઈ પણ ફેરફાર કરવાની સત્તા ફક્ત રેવન્યૂ અધિકારી પાસે હોય છે અને એવો નિયમ પણ છે કે નામ એડ કરતા પહેલાં શોકોઝ નોટિસ આપવી પડે છે. પણ આવું કશું જ આ મામલે જોવા મળ્યું નથી. 


આયુષ ઓક સુરતના કલેક્ટર હતા. પરંતુ લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા એક જ જગ્યા પર ત્રણ વર્ષથી ફરજ બજાવતા હોય  તેવા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી હતી. જેના પગલે સુરતના કલેક્ટર આયુષ ઓકની વલસાડ બદલીનો આદેશ 30મી જાન્યુઆરીએ આવ્યો હતો. નવાઈની વાત એ છે કે આ જમીન સંલગ્ન બાબતોની મંજૂરી પણ તેમણે બદલીના એક દિવસ પહેલાં જ આપી હોવાથી વિવાદ થયો છે. જો કે આ સમગ્ર મામલે ભારે વિવાદ  થતા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે સૂઓમોટો લઈને મનાઈ હુકમનો આદેશ આપ્યો હતો.