રાજકોટમાં 24 કલાકમાં 2 વૃદ્ધ સહિત ચાર લોકોને હાર્ટ એટેક

November 24, 2023

હાર્ટ એટેકથી થતા મોતની ઘટનાઓ વધુ પ્રકાશમાં આવી રહી છે
રાજકોટ : રાજકોટમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ 4 લોકોનાં હાર્ટ એટેકે ભોગ લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી થતા મોતની ઘટનાઓ વધુ પ્રકાશમાં આવી રહી છે ત્યારે રાજકોટમાં વધુ બે પ્રૌઢના હાર્ટ એટેકથી મોત થતા છેલ્લા 24 કલાકમાં  ચાર લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે જેમાં ભારતીનગરમાં રહેતા રામજીભાઈ સોલંકી (ઉ.વ.46) અચાનક જ બાથરુમમાં ઉલ્ટી કરવા ગયા હતા તે દરમિયાન ઢળી પડતા તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. અન્ય એક કિસ્સામાં પાળ રહેતા અને વાડીમાં ખેત મજૂરી કરતા કેશુભાઈ સુરતાનભાઈ મોહનિયા (ઉ.વ.51) ગઈકાલે વાડીમાં ખેત મજૂરી કરવા ગયા હતા અને રાત્રે 9 વાગ્યાની આસપાસ વાડીમાંથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા.                     
આ પહેલા શહેરના અટીકામાં 80 ફૂટ રોડ પર ગોપવંદના સોસાયટીમાં રહેતા પ્રવિણ બેચરભાઇ લીંબાસીયા (ઉ.વ. ૫૩) ગઈકાલે સવારે ઘરે હતા ત્યારે એકાએક ઢળી પડતા સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવની જાણ થતાં ભકિતનગર પોલીસે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી જ્યાં હાર્ટ એટેકથી મોત થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. આ સિવાય બીજા બનાવમાં કેસરે હિંદ પુલ પાસે ગઇકાલે રાત્રે આશરે 42 વર્ષનો યુવાન એકાએક ઢળી પડતા બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. એ-ડીવીઝન પોલીસે જરૂરી કાગળો કરી મૃતકની ઓળખ મેળવવા તપાસ કરતાં તૈ ઇશાક મન્સુરી હોવાનું અને રેનબસેરા પાસે રહેતો હોવાનું ખુલ્યું હતું. ઇશાકને પણ હાર્ટ એટેક આવી ગયાનું પોલીસે જણાવ્યું હતું.