ICCએ રોહિત શર્માને T20I ટીમ ઑફ ધ યર 2024નો કૅપ્ટન પસંદ કર્યો, 4 ભારતીય ખેલાડીને મળ્યું સ્થાન

January 25, 2025

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) એ શનિવારે 2024ની મેન્સ T20I ટીમ ઑફ ધ યરની જાહેરાત કરી. જેમાં સૌથી ખાસ વાત એ રહી કે રોહિત શર્માને ટીમના કૅપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રોહિતના નેતૃત્વમાં ભારતે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો. 

બીજી ખાસ વાત એ છે કે આ ટીમમાં કુલ ચાર ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જેમાં રોહિત શર્મા ઉપરાંત, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને પેસર અર્શદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પાકિસ્તાની ખેલાડી બાબર આઝમને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લૅન્ડ, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝના એક-એક ખેલાડી છે. વેસ્ટ ઇન્ડીઝના નિકોલસ પૂરણને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. 

રોહિત શર્માને આ ટીમમાં ફક્ત કેપ્ટન જ નહીં પણ ઓપનર તરીકે પણ પસંદ કરાયો છે. ગત વર્ષે તેણે 11 T20I મેચમાં 42.00 ની સરેરાશ અને 160.16 ના સ્ટ્રાઇક રેટથી 378 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે સદી પણ ફટકારી હતી. રોહિતની કેપ્ટનશિપ હેઠળ ભારતે 11 વર્ષના ICC ટાઇટલના દુકાળનો અંત લાવ્યો હતો. ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેણે T20I ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે હાલમાં ભારતની ટેસ્ટ અને વનડે ટીમનો કેપ્ટન છે.