નેપાળમાં ભૂસ્ખલન : 7 ભારતીઓ સહિત 65ના મૃત્યુ : ભૂસ્ખલનથી બે બસ નદીમાં ડૂબી

July 13, 2024

કાઠમંડુ : નેપાળમાં ભૂસ્ખલનને લીધે બે બસો નદીમાં પડી જતાં ૭ ભારતીયો સહિત કુલ ૬૫ના મૃત્યુ થયાં છે. જ્યારે ૫૦ હજી લાપત્તા છે. ચિતવાન જિલ્લાના સિમલતાલ વિસ્તારમાં આવેલા નારાયણઘાટ-મુગવિંગ રોડથી ભૂસ્ખલનને લીધે બે બસ ત્રિશુલી નદીમાં પડી જતાં આ દુર્ઘટના બની હતી. આ માહિતી આપતા 'માય-રીપબ્લિક' ન્યૂઝ પોર્ટલ અધિકારીઓને ટાંકતા જણાવે છે કે, છેલ્લાં કેટલાક દિવસથી થઈ રહેલી અનરાધાર વર્ષાને પરિણામે ઠેર ઠેર ભૂસ્ખલનો થયા છે. તેમજ નદીઓમાં ભારે પૂર આવી રહ્યાં છે. ચિતવાન જિલ્લાના અધિકારી ઈન્દ્રદેવ યાદવે આ દુર્ઘટનાને પુષ્ટિ આપતાં વધુમાં જણાવ્યું હતું કે, કાઠમંડુ તરફ જતી 'એન્જલ બસ સર્વિસ' તથા કાઠમંડુથી ગૌર શહેર તરફ જતી ગણપતિ ડીલક્ષ બસો સવારના ૩.૩૦ વાગે આ દુર્ઘટનાનો ભોગ બની હતી. કાઠમંડુ તરફ જતી બસમાં ૨૪ પ્રવાસીઓ અને ગૌર તરફ જતી ગણપતિ ડીલક્સ બસમાં ૪૧ પ્રવાસીઓ હતા. આ બસમાંથી ૩ પ્રવાસીઓ કૂદીને બહાર નીકળી જતાં બચી ગયા છે. પ્રાપ્ય માહિતી પ્રમાણે એન્જલ ડીલક્સ બસમાં ૭ ભારતીયો પણ હતા તેઓ પણ નદીમાં તણાઈ જતાં મૃત્યુ પામ્યા છે, તેમ 'માય-રીપબ્લિક' પોર્ટલ જણાવે છે. યાદવે જણાવ્યું હતું કે હવે રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ ભૂસ્ખલનને લીધે માર્ગમાં અવરોધ ઉભો થતાં તે માટી પથ્થરો પહેલાં દૂર કરવામાં સમયનો દુર્વ્યય થયો છે.