સત્તા માટે વારંવાર પલટી મારે છે નીતિશ કુમાર : ખડગે

April 20, 2025

બિહારમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણીના કારણે રાજકારણ ગરમાયું છે. રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિહારના બક્સરના દલસાગર સ્ટેડિયમમાં આયોજિત 'જય બાપુ, જય ભીમ, જય સંવિધાન રેલી'ને સંબોધિત કરતાં નીતિશ કુમાર અને ભાજપના ગઠબંધનની ટીકા કરી હતી. ખડગેએ નીતિશ કુમાર સત્તા માટે વારંવાર પલટી મારતાં હોવાનો આક્ષેપ કર્યો હતો. ખડગેએ કહ્યું કે, 'બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપનુ ગઠબંધન નકામું છે. આ બંને ગઠબંધન માત્ર સત્તા માટે એક-બીજાની સાથે છે. નીતિશ કુમાર ખુરશી માટે વારંવાર ગઠબંધન બદલી નાખે છે. નીતિશ કુમારે હાલ એ લોકો સાથે ગઠબંધન કર્યું છે, જેમણે મહાત્મા ગાંધીની હત્યા કરી હતી.

બિહારના લોકોએ મુખ્યમંત્રી નીતિશને સવાલ કરવો જોઈએ કે, વડાપ્રધાન મોદીએ 2015માં રાજ્યને રૂ. 1.25 લાખ કરોડનું પેકેજ આપવાનું વચન આપ્યું હતું. તેનું શું થયું. વડાપ્રધાન જૂઠાણાની ફેક્ટરી ચલાવી રહ્યા છે. બિહારમાં એનડીએ સરકારનો પર્દાફાશ કરવો પડશે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનને મત આપવા અપીલ છે.'નેશનલ હેરાલ્ડ કેસ પર ઈડીની સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર કાર્યવાહી મુદ્દે ખડગેએ જણાવ્યું કે, ઈડી દ્વારા ભાજપ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર ચાર્જશીટ દાખલ કરી બદલાનું રાજકારણ રમી રહ્યું છે. પરંતુ અમે ભયભીત થઈશું નહીં. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ દેશ માટે જીવ આપી દીધો હતો.

મલ્લિકાર્જુન ખડગેએ આરોપ મૂક્યો હતો કે, ભાજપ અને આરએસએસ નબળા લોકોનો વિરોધ કરે છે. તે જાતિ, ધર્મના નામે લોકોમાં ભાગલા પડાવી રહ્યો છે. આ લોકો મહિલાઓ, ગરીબ અને પછાતવર્ગના હિત વિશે વિચારતા નથી. ભાજપ અને સંઘ જાણીજોઈને વક્ફ સંશોધન બિલ લાવ્યું છે. જેથી સમુદાયો વચ્ચે દ્વેષની લાગણી ફેલાવી શકાય.