શ્રીકૃષ્ણ જન્માષ્ટમી આજે, કાનુડાની પૂજા કરવા મળશે કેટલો સમય? જાણો શુભ મૂહુર્ત

August 26, 2024

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ આજ રોજ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. ધાર્મિક ગ્રંથો પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ 5251 પહેલા ભગવાન વિષ્ણુના આઠમા અવતાર તરીકે થયો હતો. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ વૃષભ લગ્ન, વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં થયો હતો. 
આ દિવસે શ્રીકૃષ્ણની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ, આયુષ્ય અને સુખની પ્રાપ્તિ થાય છે. આ દિવસે, ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો ભૂખ્યા અને તરસ્યા રહે છે. અને તેમના માટે ઉપવાસ કરે છે અને રાત્રે તેમની વિધિવત પૂજા કરે છે. એવુ કહેવાય છે કે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. આવો અમે તમને જન્માષ્ટમીની પૂજા- વિધિ અને શુભ સમય વિશે જણાવીએ.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો શુભ મુહૂર્ત 

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ વૃષભ લગ્નમાં અને વૃષભ રાશિમાં થયો હતો. તેથી આ સમયગાળા દરમિયાન જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે આઠમ 26 ઓગસ્ટના રોજ સવારે 03.39 વાગ્યે શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ સવારે 02.19 વાગ્યે પુરી થશે. એટલે કે 26 ઓગસ્ટની રાત્રે આઠમ તિથિ રહેશે. આ વખતે શ્રી કૃષ્ણની પૂજા માટેનો શુભ સમય મધ્યરાત્રિના 12.00 થી 12.44 સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન શ્રી કૃષ્ણનો જન્મ થશે અને તેમની જન્મજયંતિ ઉજવવામાં આવશે.

જન્માષ્ટમીનો તહેવાર કેવી રીતે ઉજવવો?

જન્માષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી વ્રત કે પૂજા કરવાનો સંકલ્પ કરવો. દિવસભર જળાહાર રે ફળાહાર કરવો જોઈએ, અને સાત્વિક બનવું જોઈએ. એ પછી મધ્યરાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણની ધાતુની મૂર્તિને એક પાત્રમાં રાખો. મૂર્તિને દૂધ, દહીં, મધ, ખાંડ અને છેલ્લે ઘીથી સ્નાન કરાવો. આને પંચામૃત સ્નાન કહેવામાં આવે છે.

એ પછી ભગવાનને જળથી સ્નાન કરાવો. ધ્યાન રાખો કે જે વસ્તુઓ અર્પણ કરવાની હોય તેને શંખમાં મૂક્યા પછી જ અર્પણ કરવી જોઈએ. ત્યાર બાદ પિતાંબર, ફૂલ અને પ્રસાદ ચઢાવો. હવે ભગવાનને ઝુલામાં બેસાડીને હીંચકા ખવડાવો. તેમને ઝૂલાવતાં- ઝૂલાવતાં પ્રેમથી તમારી ઇચ્છા વ્યક્ત કરો. કાન્હા તમારા જીવનના તમામ અવરોધોને દૂર કરશે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો પ્રસાદ 

કૃષ્ણ જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણને કેટલાક વિશેષ પ્રકારના ભોગ ધરાવીને તે પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. આ દિવસે તમે મીઠાઈમાં ધાણા પંજીરી, માખણ મિશ્રી, મિઠાઈમાં તુલસી પાન, માખાના, ચરણામૃત. મેવા ખીર વગેરેનો ભોગ ધરાવી શકો છો. તમે ડ્રાયફ્રૂટ્સ, ખીર વગેરેનો પ્રસાદ બનાવીને કન્હૈયાને ભોગ લગાવી શકો છો અને તેને પ્રસાદ તરીકે વહેંચી શકો છો.

કયા મંત્રો અને સ્તોત્રોનો જાપ કરવો? 

ભગવાન કૃષ્ણનું નામ સ્વયં એક મહામંત્ર છે. તેનો જાપ કરી શકાય છે. આ સિવાય તમે "હરે કૃષ્ણ" મહામંત્રનો જાપ પણ કરી શકો છો. જીવનમાં પ્રેમ અને ખુશી માટે "મધુરાષ્ટક" નો પાઠ કરો. શ્રી કૃષ્ણને ગુરુ તરીકે પ્રાપ્ત કરવા માટે શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરો. તમારી બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે તમે "ગોપાલ સહસ્ત્રનમ" નો પાઠ પણ કરી શકો છો. આ ઉપરાંત તેમની પાસે કેટલાક દિવ્ય મંત્રો આ પ્રમાણે છે.

ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ
હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે
ઓમ કૃષ્ણાય નમઃ:
કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને, પ્રણત ક્લેશનાય ગોવિન્દાય નમો નમઃ
ઓમ નમો ભગવતે શ્રીગોવિંદાય નમઃ