આજે રાંધણ છઠ્ઠ : ગૃહિણીઓ દિવસ દરમિયાન રસોઈકાર્યમાં મગ્ન બનશે, રાત્રે ચૂલો ઠારશે

August 24, 2024

ગોહિલવાડમાં શ્રાવણી પર્વમાળા અંતગર્ત શુક્રવારે પરંપરાગત રીતે નાગપાંચમના પર્વની ઉજવણી કરાઈ હતી. આ સાથે ચોમેર આવેલ શરમાળીયાદાદાના અને નાગદેવતાના મંદિરમાં દર્શનાર્થે ભાવિકો ઉમટી પડયા હતા. જયાં ભાતીગળ લોકમેળાની અનેરી રંગત જામી હતી. જયારે આવતીકાલ તા.૨૪ ને શનિવારે ગૃહિણીઓ રાંધણ છઠ્ઠના પર્વે શીતળા સાતમ માટેની રસોઈકાર્યમાં મગ્ન બનશે.

આજે તા.24 ને શનિવારે રાંધણ છઠ્ઠ ઉજવાશે.વર્ષોજુની ધાર્મિક પરંપરા મુજબ શીતળા સાતમે રાંધણ છઠ્ઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન ઘરે માણવાનો મહિમા ચાલ્યો આવે છે તેમજ ધર્મશાસ્ત્રોમાં વધુમાં દર્શાવાયા મુજબ રાંધણ છઠ્ઠના દિવસે શીતળા માતા ઘરે-ઘરે વિહાર કરતા હોય છઠ્ઠની રાત્રે સફાઈ કર્યા બાદ ચૂલોને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચુલાની પૂજા કરાશે. ચુલો ઠંડો કર્યા બાદ તેનો આખો દિવસ ઉપયોગ કરાતો નથી. તા.25 ને રવિવારે યોજાનાર શીતળા સાતમના પર્વે ઘરમાં રસોઈ ન કરવાની અને ટાઢુ ખાવાની પરંપરાનું પાલન કરવાનુ  હોવાથી ગૃહિણીઓ દ્વારા આવતીકાલ તા.૨૪ ને શનિવારે બપોરથી પરિવારની અન્ય મહિલાઓ સાથે મીઠાઈ, ફરસાણ સહિતના રસોઈકાર્યમાં મગ્ન બની જશે. 

રેડીમેડ અને ઈન્સ્ટન્ટ ફૂડના પ્રવર્તમાન યુગમાં હવે રાંધણ છઠ્ઠનું મહત્વ ક્રમશ વિસરાઈ રહ્યુ છે.ઘરે પરિવારજનો માટે ટાઢી રસોઈ કરવાની લાંબી કડાકૂટમાં પડવાના બદલે મોર્ડન ગૃહિણીઓ હવે જરૂરીયાત મુજબનું જ રાંધે છે બાકી તૈયાર મીઠાઈ અને ફરસાણ મંગાવતી થઈ છે. આ વર્ષે ફરસાણ માટેના બેસન, ખાંડ, મેંદો, માવો તેમજ સુકા મેવા સહિતના રો-મટીરીયલ્સના ભાવ 10 થી 15 ટકા વધી જતા રાંધણ છઠ્ઠનું મધ્યમવર્ગીય ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાયેલુ રહેશે.