આજે પ્રથમ નોરતે અંબાજી મંદિરમાં ગંધાષ્ટકમ અત્તરનું પૂજન કરાશે

October 03, 2024

આજથી આદ્યશક્તિ મા જગદંબાની શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. શક્તિની ભક્તિના આ સૌથી મોટો મહોત્સવમાં જય ભોલે ગૃપ અમદાવાદ દ્વારા ગુજરાતના નવ શકિત મંદિરોમાં અષ્ટ ગંધાષ્ટકમ અત્તર અર્પણ કરવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત પહેલાં નોરતાં નિમિત્તે અંબાજી મંદિરમાં ગંધાષ્ટકમનું પૂજન કરી અંબાજી ઉપરાંત અન્ય મંદિરોમાં અષ્ટગંધાષ્ટકમ અર્પણ કરવામાં આવશે. 

ગુજરાત સહિત દેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા આરાસુરી અંબાજી મંદિર, ઊંઝા ઉમિયા મંદિર, અમદાવાદ ભદ્રકાલી મંદિર,  માધુપુરા અંબાજી મંદિર, પાવાગઢ મહાકાલી મંદિર, બહુચરાજી ખાતે બહુચર મંદિર, કચ્છ આશાપુરા માતાજી, ચોટીલા ચામુંડા મંદિર, ભાવનગર ખોડિયાર માતાનું અને વરદાયિની માતા મંદિર,રુપાલ ખાતે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સહયોગથી નવરાત્રિના પવિત્ર દિવસોમાં જય ભોલે ગૃપ અમદાવાદ દ્વારા અષ્ઠ સુગંધિત દ્રવ્યોમાંથી નિમત ગંધાષ્ટકમ અર્પણ કરાશે. 

આ ગંધાષ્ટકમ અર્પણ કરવા માટે સાગના લાકડામાંથી ખાસ બોક્સ બનાવવામાં આવ્યું છે. જેમાં આઠ પ્રકારના અત્તરની બોટલોને રાખવામાં આવી છે તેમજ દરેક બોક્સ પર ગંધાષ્ટકમ શ્લોક પણ લખવામાં આવ્યો છે. 

જય ભોલે ગૃપ અમદાવાદના દિપેશ પટેલે જણાવ્યું હતું કે, શ્રી વિદ્યામાં ગંધાષ્ટકમનું વર્ણન મળે છે. જેમાં વર્ણવેલા આઠ પ્રકાર પ્રમાણે આઠ ગંધ એટલે કે ચંદન, અગર, કપૂર, તમાલ, જલ, કુમકુમ, અને ઉશિર અને કુઠ નામની સુગંધ જગદંબાને અતિપ્રિય છે. નવરાત્રિના પવિત્ર પર્વ નિમિતે નવદુર્ગા સ્વરૂપને અષ્ટ ગંધાષ્ટકમ અર્પણ કરવામાં આવશે. માતાજી પ્રસન્ન થાય અને નવરાત્રિમાં મા નવદુર્ગાના આશિર્વાદ સૌ માઇભકતોને મળે એ જ આશયથી આ અત્તર અર્પણ કરવામાં આવી રહ્યું છે.