કેનેડાના વિઝા નિયમો વધુ કડક થયા: આવા સંજોગોમાં રદ થઈ જશે સ્ટડી કે વર્ક પરમિટ

February 25, 2025

કેનેડાએ પોતાના ઈમિગ્રેશન નિયમોમાં મોટા ફેરફારો કરતાં કેનેડા જતાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને પર્યટકોને માઠી અસર પહોંચી શકે છે. નવા નિયમો હેઠળ કેનેડાના બોર્ડર પર ઉપસ્થિત અધિકારીઓ ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન અને ટેમ્પરરી રેસિડન્ટ વિઝા જેવા ડોક્યુમેન્ટના આધારે વિઝા રદ કરી શકે છે. 

આ નવો નિયમ 31 જાન્યુઆરી, 2025ના રોજ લાગુ થયો છે. તેની સાથે 2024ના અંતમાં સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) વિઝા પ્રોગ્રામ બંધ કર્યો છે. નવા નિયમ હેઠળ બોર્ડર પર ઉપસ્થિત અધિકારી ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (eTAs) અને ટેમ્પરરી રેસિડન્ટ વિઝા (TRVs) જેવા ડોક્યુમેન્ટ રદ કરી શકે છે. જેથી મંજૂર થયેલા સ્ટુડન્ટ, વર્ક કે વિઝિટર વિઝા કેનેડાની બોર્ડર પર જ રદ થવાની ભીતિ વધી છે.
ચાર લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં

કેનેડામાં મર્યાદિત સમય માટે રહેતા લોકો પર સંકટ વધ્યું છે. કેનેડા એ હાયર એજ્યુકેશન માટે વિદેશ જતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે પ્રચલિત સ્થળ છે. વિદેશ મંત્રાલયના આંકડાઓ અનુસાર, કેનેડામાં લગભગ 4,27,000 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કેનેડાએ જાન્યુઆરીથી જુલાઈ, 2024 દરમિયાન ભારતીયોને 3,65,750 વિઝિટર વિઝા પણ જાહેર કર્યા છે.

આ પરિસ્થિતિમાં વિઝા રદ થશે

ખોટી માહિતી, ગુનાહિત રેકોર્ડ અથવા મૃત્યુ
જો અધિકારીને લાગે કે, વ્યક્તિ નિશ્ચિત સમય મર્યાદા બાદ કેનેડા નહીં છોડે
ડોક્યુમેન્ટ ગુમ, ચોરી, ખરાબ થવા પર અથવા પ્રશાસનિક ભૂલ
ટેમ્પરરી રેસિડન્ટમાંથી પરમિનન્ટ રેસિડન્ટ બનવા પર
જો વિદ્યાર્થીના સ્ટડી કે વર્ક વિઝા રદ થઈ જાય 

IRCCએ જણાવ્યું છે કે, નવા નિયમોથી 7000 ટીઆર,વર્ક અને સ્ટડી પરમિટ રદ થશે. પ્રભાવિત લોકોને તેમના IRCC એકાઉન્ટ અથવા ઈમેઈલ મારફત આ અંગે જાણકારી આપવામાં આવશે. જો કોઈ સ્ટડી, વર્ક કે ટુરિસ્ટ વિઝા રદ થાય છે, તો તેમની એન્ટ્રી અટકાવી તેમને પરત વતન મોકલવામાં આવશે. કેનેડામાં સ્ટુડન્ટ, વર્ક કે ટેમ્પરરી વિઝા પર રહેતાં લોકોએ નિશ્ચિત સમય મર્યાદા પર કેનેડા છોડવું પડશે.