PM મોદીની કેનેડા મુલાકાત પહેલા સરેમાં ફાયરિંગ:મંદિરના પ્રમુખ પાસે 20 લાખ ડોલરની ખંડણી માગી

June 11, 2025

સરે  : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેનેડા મુલાકાત પહેલા, સરે વિસ્તારમાં એક ઉદ્યોગપતિના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે થોડા દિવસો પહેલા પ્રોપર્ટી માલિકને લગભગ 20 લાખ ડોલરની ખંડણી માંગતો ફોન આવ્યો હતો.

આ ઘટના કેનેડાના સરેમાં રિફ્લેક્શન બેન્ક્વેટ હોલની બહાર બની હતી. આ ફોન પ્રોપર્ટીના માલિક અને લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારને આવ્યો હતો.

જ્યારે સતીષ કુમારે પૈસા આપવાનો ઇનકાર કર્યો, ત્યારે બદમાશોએ તેમની મિલકત પર ફાયરિંગ કર્યુ. હાલમાં, કેનેડિયન પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

પ્રોપર્ટીના માલિક અને લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારે જણાવ્યું હતું કે આ ઘટના 7 જૂનના રોજ સવારે લગભગ 2:30 વાગ્યે બની હતી. આ પહેલા, બે વર્ષ પહેલાં ડિસેમ્બરમાં, સતીશ કુમારના પુત્રના ઘરે ફાયરિંગ થયું હતું. આ દરમિયાન, આરોપીઓએ લગભગ 14 ગોળીઓ વરસાવી હતી.

કેનેડામાં લક્ષ્મી નારાયણ મંદિરને હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. આ ચોથી વખત છે જ્યારે લક્ષ્મી નારાયણ મંદિરના કોઈ અધિકારીને હુમલાખોરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. હવે સરે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

જણાવીએ કે PM નરેન્દ્ર મોદીને કેનેડાના આલ્બર્ટા રાજ્યના કનાનાસ્કિસમાં 15 થી 17 જૂન દરમિયાન યોજાનારી G7 સમિટમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ માટે કેનેડાના પીએમ માર્ક કાર્નીએ પીએમ મોદીને ફોન કર્યો હતો.

મોદીએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી. અગાઉ કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી અને રેલી કાઢવામાં આવી હતી. કેનેડા સરકાર દ્વારા આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી.