રાહુલ ગાંધી કાલે કાશ્મીરની મુલાકાત લેશે, સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું- ‘વિપક્ષ સરકારની સાથે’

April 25, 2025

પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે (25 એપ્રિલ) કાશ્મીર ખીણની મુલાકાત લેશે અને ઈજાગ્રસ્તોની હાલત પૂછવા માટે અનંતનાગ હોસ્પિટલની મુલાકાત લેશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ અહેમદ મીરે રાહુલ ગાંધીની આવતીકાલે શ્રીનગર અને અનંતનાગની મુલાકાતની પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું કે, રાહુલ શુક્રવારે શ્રીનગર પહોંચશે અને ઈજાગ્રસ્તોની સ્થિતિનો તાગ મેળવવા માટે અનંતનાગમાં સરકારી મેડિકલ કોલેજની મુલાકાત લેશે, જેઓની ત્યાં સારવાર ચાલી રહી છે. ત્યારબાદ તેઓ શ્રીનગર પાછા ફરશે અને રાજ્ય નેતૃત્વ દ્વારા આયોજિત પાર્ટી કાર્યક્રમમાં હાજરી આપશે.

તેમની મુલાકાતનો ઉદ્દેશ્ય પીડિતો અને તેમના પરિવારો સાથે એકતા વ્યક્ત કરવાનો છે. રાહુલ ગાંધી ગુરુવારે કોંગ્રેસ કાર્યકારી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપવા માટે પોતાનો અમેરિકાનો પ્રવાસ ટુંકાવી તાત્કાલીક પરત આવ્યા હતા. તેમણે સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં આ આતંકવાદી હુમલા વિશે તમામ પક્ષોને માહિતી અપાઈ હતી. સર્વપક્ષીય બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ આતંકવાદી હુમલા અંગે સરકાર દ્વારા લેવામાં આવેલા દરેક પગલાને સમર્થન આપશે.