કેનેડા - ભારત વચ્ચેના સંબંધો ફરી સુધરશે? એક વર્ષ બાદ બંને દેશોના વિદેશ મંત્રીએ કર્યો સંવાદ

May 26, 2025

ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા બે વર્ષોથી સંબંધોમાં પડેલી તિરાડ હવે દૂર થવાનો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ સંકેત આપ્યો છે. તેમણે બંને દેશો ટૂંકસમયમાં પોતાના સંબંધોમાં સુધારો કરવાના પ્રયાસ શરૂ કરશે તેવી શક્યતાઓ જણાવી છે. જયશંકરે રવિવારે મોડી રાત્રે કેનેડાના નવા વિદેશ મંત્રી અનિતા આનંદ સાથે ટેલિફોનિક વાર્તાલાપ કર્યો હતો. બંને વચ્ચે વાર્તાલાપ સકારાત્મક રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.  બંને વિદેશ મંત્રીએ આર્થિક સહયોગ પર ચર્ચા કરી હતી. કેનેડામાં હાલમાં જ માર્ક કાર્નિના નેતૃત્વ હેઠળ નવી સરકાર બની છે. નવી સરકાર ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરતી જોવા મળી છે. તે પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ભારત વિરોધી નિવેદનો મારફત સંબંધોમાં આવેલી તિરાડ પૂરવાનું વલણ દર્શાવી રહી છે. ઉલ્લેખનીય છે, બંને દેશોના વિદેશ મંત્રીએ ફેબ્રુઆરી, 2024 બાદ પ્રથમ વખત બેઠક કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બંને દેશો વચ્ચે લાંબા સમય બાદ ચર્ચાઓ સંકેત આપી રહી છે કે, બંને સરકાર વચ્ચે ફરી મુક્ત વેપાર કરાર (એફટીએ) શરૂ થઈ શકે છે. જયશંકરે જણાવ્યું હતું કે, બંને દેશો આર્થિક સંબધો વધારવા ભાગીદારી કરી શકે છે.  અનિતા આનંદ સાથે વાતચીત કર્યા બાદ જયશંકરે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, કેનેડાના વિદેશ મંત્રી સાથે થયેલો વાર્તાલાપ પ્રશંસનીય રહ્યો છે. અમે ભારત-કેનેડાના સંબંધોની ભાવિ સંભાવનાઓ વિશે વાત કરી છે. મેં તેમને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. બંને દેશો આર્થિક સંબંધોને વેગ આપવા અને ભાગીદારી કરવા પ્રાધાન્ય આપવા ઉત્સુક છે. આનંદે પણ આર્થિક સહયોગની વાત કરી છે. ભારત અને કેનેડા વચ્ચે 2023થી સંબંધોમાં તિરાડ પડી હતી. પૂર્વ વડાપ્રધાન ટ્રુડોએ કેનેડામાં રહેતાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારતની સરકારી એજન્સીઓ પર મૂક્યો હતો. તેમજ ભારત વિરૂદ્ધ નિવેદનો આપ્યા હતાં. વધુમાં ભારત-કેનેડા વચ્ચેના આર્થિક સંબંધોમાં પણ લગામ મૂકી હતી. જો કે, આ આરોપો હેઠળ કેનેડાએ અત્યારસુધી ભારત વિરૂદ્ધ કોઈ પુરાવા રજૂ કર્યા નથી. બંને દેશોએ એક-બીજાના હાઈ કમિશનરને હાંકી કાઢ્યા હતાં.