ગીરસોમનાથના કોડીનારમાં 15 પશુઓમાં મળ્યો વિચિત્ર રોગ, એક ભેંસનું મોત

September 16, 2024

ગીર સોમનાથનાં કોડીનારમાં દુધાળા પશુઓમાં વિચિત્ર રોગ આવતા પશુપાલકમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.પશુઓનું મળ મૂત્ર અટકી જતાં પશુપાલક તેમજ ડોક્ટરો ચિંતિત બન્યા છે.એક તબેલાના 15 પશુઓમાં એકીસાથે રોગ આવતા એક ભેંસનું મૃત્યુ જ્યારે અન્ય પશુઓને સારવાર અપાઈ રહી છે.

ગીરના કોડીનાર શહેરમાં દુધાળા પશુઓમાં લંપી નામના રોગચાળા પછી પશુઓના મળ મૂત્ર ત્યાગ કરવાની કુદરતી પ્રવૃત્તિ બંધ થઈ જવાના વિચિત્ર પ્રકારના રોગે પગ પેસારો કર્યો છે.કોડીનાર શહેરના મામલતદાર ઓફિસ પાછળ વાડી વિસ્તારમાં આવેલ તબેલામાં પાલતુ ગાય અને ભેંસનાં ઝાડો પેશાબ બંધ થઈ જવાના વિચિત્ર રોગને કારણે કિંમતી પશુઓનું મરણ થવાનાં બનાવ બનતા તબેલાનાં માલિક માનસિંગભાઈ ગોવિંદ ભાઈ ડોડીયા મુસીબતમાં મુકાયા હતા.

જોકે તેઓ પણ વર્ષોથી પશુપાલન સાથે જોડાયેલા હોય આ પ્રકારનો રોગ પ્રથમ વખત જોવા મળતા તેઓએ તાત્કાલિક કોડીનારનાં સરકારી પશુ દવાખાના અધિક્ષક ડોકટરો ને જાણ કરતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક તબેલા ઉપર આવી સર્વે કરી તમામ પશુઓની તપાસ અને સારવાર હાથધરી હતી.જોકે આ સારવાર દરમિયાન માનસિંગભાઈની એક કીમતી ભેંસનું મૃત્યુ થયું હતું.