ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પહેલાં જ ભાજપમાંથી નેતાઓની હિજરત
January 29, 2022

મતદાતોનું મન કળી શકાતું નથી. ભાજપમાં નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ વચ્ચે ઘણાં સમયથી ઠંડો વિગ્રહ ચાલી રહ્યો છે. આ વાત હવે છુપી રહી નથી. ૨૦૧૭ની ચૂંટણીમાં ટિકિટોની વહેંચણીની જવાબદારી નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહના હાથમાં હતી. હવે જવાબદારી મોદી અને યોગી વચ્ચે વહેંચાઈ ગઈ છે. બંને નેતાઓ પોતપોતાના ઉમેદવારોને ટીકીટ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય મોદીના અંગત અને ખાસ મનાય છે. તેમને તેમની મરજી મુજબ ટિકિટો ફાળવવામાં આવી રહી નથી.
જેને કારણે તેમના ટેકેદાર ગણાતા સ્વામી પ્રસાદ મૌર્યે યોગી પ્રધાનમંડળમાંથી રાજીનામું આપીને ભાજપ સામે રણશિંગુ ફુંકી દીધુ છે. તેમની સાથે ભાજપના બીજા ચાર વિધાનસભ્યોએ પણ છે. તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ શકે છે. યુપીમાં બદલતા રાજકીય સમીકરણોની અસર દેશના અન્ય પ્રદેશમાં પડવાની શકયતા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવારે જાહેર કર્યું છે કે તેમનો પક્ષ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરશે. તેમણે વધુમાં જાહેરાત કરી છે કે ભાજપના વધુ ૧૩ વિધાનસભ્યો રાજીનામાં આપવાની તૈયારીમાં છે. શું તેમને ભાજપના પરાજયના ભણકારા વાગી રહ્યા હોવાથી તેઓ ભાજપ છોડવા તૈયાર થયા છે?
કિસાનોની વિટંબણા સમજવાને બદલે કેન્દ્રના પ્રધાનો તેમને દેશદ્રોહી કે ખાલિસ્તાનવાદી ઠરાવીને તેમનો જુસ્સો તોડી પાડવાનો પુરૂષાર્થ કરી રહ્યા છે. આ પુરૂષાર્થના ભાગરૂપે કેન્દ્રિય મંત્રી અજય મિશ્રા દ્વારા કિસાનોને બેફામ ગાળો ભાંડવામાં આવી હતી. તેનો વિરોધ કરવા લખીમપુર ખેરીમાં ભેગા થયેલા કિસાનો પર મંત્રીપુત્ર આશિષ મિશ્રાએ પોતાની મોટર કાર ચડાવી દીધી હતી અને ચાર કિસાનોને કચડી નાખ્યા હતા. પાંચમા કિસાનને મંત્રીપુત્રે પોતાની બંદૂકથી ઠાર માર્યો હતો. આ હુમલાથી ઉશ્કેરાયેલા કિસાનોએ તેની કારને આગ ચાંપી હતી. ત્રણને રહેંસી નાખ્યા હતા.
કિસાનો દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્ય અને કેન્દ્રના પ્રધાન અજય મિશ્રા લખીમપુર ખેરીની મુલાકાતે આવવાના હોવાથી કિસાનો દ્વારા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મંત્રીપુત્ર આશિષ મિશ્રા પોતાના ૨૦-૨૫ સાગરીતો સાથે ત્રણ વાહનોમાં આવ્યો હતો. આશિષ પોતાની થાર મહિન્દ્રા જીપમાં ડાબી તરફ બેઠો હતો. તેણે બનવારીપુર મીટિંગના સ્થળે જઈ રહેલા કિસાનો પર આડેધડ ગોળીબાર કરવાનું ચાલુ કરી દીધું હતું. જયારે તેના ડ્રાઇવરે કિસાનોનાં ટોળાં પર કાર ચલાવી દીધી હતી. કિસાનોમાં નાસભાગ મચી જતાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ખાડામાં જઈને પડી હતી. મંત્રીના પુત્ર દ્વારા બંદૂક વડે કિસાનની હત્યા કરવામાં આવી, તેના તમામ પુરાવાઓ ઉપલબ્ધ હોવા છતાં ઉત્તર પ્રદેશની પોલીસ હવે પોતાની તમામ તાકાતથી મંત્રીપુત્રને બચાવવાના પ્રયત્નો કરી રહી છે.
યોગી સરકારે કિસાન આગેવાનો સાથે સોદાબાજી કરી છે. તેણે કિસાન આગેવાનોને ન્યાયિક તપાસનું વચન આપ્યું છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં લખીમપુર ખેરીની ઘટના અને તેની આજુબાજુ ચાલી રહેલી રાજનીતિ પણ મહત્ત્વનો ભાગ ભજવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોઈ સંયોગોમાં તેમના પ્રધાનમંડળના સાથી અજય મિશ્રા રાજીનામું આપે તેવું ચાહતા નથી. યોગી આદિત્યનાથ તેમને રાજીનામું આપવાની ફરજ પાડીને મોદીનું નાક કાપવા માગે છે. આ જ કારણે જ ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા જે સીટની રચના કરવામાં આવી તેમાં અજય મિશ્રાનું નામ પણ જોડવામાં આવ્યું છે.
અજય મિશ્રા કહે છે કે આ કેસમાં હું ગુનેગાર પુરવાર થઈશ તો જ રાજીનામું આપીશ. બસ હવે આ જ બે નેતાઓની લડાઈમાં યુપીમાં ભાજપની બાજી બગડે તેવા સંજોગોનું નિર્માણ થઈ રહ્યુ છે. યુપીમાં હાલ ભાજપ, સપા અને બસપા તથા કોંગ્રેસ દ્વારા ચૂંટણીપ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. આમ તો યુપીમાં આ વખતે ભાજપને સમાજવાદી પાર્ટી એટલે કે અખિલેશ યાદવ જ ટક્કર આપે તેવી સ્થિતિ છે. આમ છતાં માયાવતી અને કોંગ્રેસ એટલે કે પ્રિયંકા ગાંધીએ પણ આશા છોડી નથી. તમામ પાર્ટીઓ દ્વારા નાગરિકોને રિઝવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
યોગી આદિત્યનાથની કેબિનેટમાંથી રાજીનામુ આપીને ભાજપ સાથે છેડો ફાડનારા મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય આકરા પાણીએ છે. ભાજપ પર તેમણે પ્રહારો કરતા આરએસએસને નાગ અ્ને ભાજપની સરખામણી સાપ સાથે કરી છે અને પોતાને નોળિયા ગણાવ્યા છે. મોર્ય બાદ બુધ અને ગુરુવારે ભાજપના જ ધારાસભ્ય મુકેશ વર્મા, ધોરહરના ધારાસભ્ય બાલાપ્રકાશ અવસ્થી તથા મંત્રી દારાસિંહ ચૌહાણે ભાજપને અલવિદા કહી દીધી હતી. ભાજપે જ્યારે ગુજરાતમાં અને ઉત્તરાખંડમાં મુખ્ય પ્રધાનો બદલ્યા ત્યારે મોવડીમંડળની ઇચ્છા ઉત્તર પ્રદેશમાં પણ મુખ્ય પ્રધાન બદલવાની હતી. યોગીને તે વાતનો અણસાર આવી જતાં તેમણે દિલ્હી સંદેશો કહેવડાવી દીધો હતો કે જો તેમને મેં રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવશે તો ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર પણ તૂટી જશે. યોગીની ધમકીથી ભાજપ મોવડી મંડળે ડરી જઈ મામલો રફેદફે કરી દીધો હતો. જે તે સમયે યોગીએ ચૂંટણી જીતવાની જવાબદારી સ્વીકારીને લીધી હતી. તેને કારણે ટિકિટોની વહેંચણી કરવાની સત્તા પણ તેમના હાથમાં આવી ગઈ હતી. હવે સ્વાભાવિક રીતે જ મોદીસમર્થકોનાં પત્તાં કપાઈ જશે. આ વાતનો અણસાર આવી જતાં મોદી સમર્થક નેતાઓએ ભાજપમાંથી ચાલ્યા જવું મુનાસીબ માન્યુ છે. આ સાથે જ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી આવતા જ ટીકિટ વહેંચણી મુદ્દે મોદી અને યોગી જૂથ વચ્ચે ચાલતો ખટરાગ બહાર આવી ગયો છે. ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી ભાજપની નેતાગીરી માટે અગ્નિપરીક્ષા છે. જો ભાજપ તમામ અવરોધો વચ્ચે આ ચૂંટણી જીતી જાય તો તે યોગીનો વિજય ગણાશે અને યોગી મોદીના વિકલ્પ તરીકે ઊભરી આવશે. જો ભાજપ આ ચૂંટણી હારી જાય તો મોદી માટે પણ મુશ્કેલી છે. ભાજપ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પછડાટ ખાય તો તેના માટે ૨૦૨૪માં દિલ્હી જીતવુ એટલે કે લોકસભાની ચૂંટણી જીતવી અઘરી થઈ પડશે તે નિશ્ચિત છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપનું વિકાસનું કાર્ડ ચાલ્યું ન હોવાથી યોગી હવે મથુરાનું કાર્ડ રમી રહ્યા છે. તેને કારણે ભાજપથી દૂર થઈ ગયેલા દલિતો તેમજ જાટ સમુદાય પાછો આવશે તેવી તેને આશા છે. બીજી બાજુ અખિલેશ યાદવ યોગી સરકારની નિષ્ફળતાને લોકો સમક્ષ રજૂ કરીને ચૂંટણી જીતવા માગે છે. આ ચૂંટણીમાં નાતજાતનું ગણિત ભાજપની તરફેણમાં નથી. મોદી-શાહ માટે આ મોટો પડકાર છે. પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી પહેલાં તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવા વિધાનસભ્યોની અને મંત્રીઓની લાઇન લાગી હતી. તે પછી ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો ભવ્ય વિજય થતાં મોટાભાગના નેતાઓ ભાજપ છોડીને સ્વગૃહે પાછા ફર્યા હતા.
Related Articles
કોંગ્રેસમાં ફરી યાદવાસ્થળી રાજસ્થાન સરકાર સંકટમાં
કોંગ્રેસમાં ફરી યાદવાસ્થળી રાજસ્થાન સરકા...
Oct 01, 2022
બ્રિટનના વડાપ્રધાન બનવાનું ઋષિ સુનાકનું સપનું રોળાયું
બ્રિટનના વડાપ્રધાન બનવાનું ઋષિ સુનાકનું...
Sep 10, 2022
પીઢ નેતા આઝાદની કૉંગ્રેસમાંથી વિદાય ભાજપને ફાયદો કરાવશે
પીઢ નેતા આઝાદની કૉંગ્રેસમાંથી વિદાય ભાજપ...
Sep 03, 2022
કોંગ્રેસમાં પ્રમુખપદની ચૂંટણી થશે કે, કુલડીમાં ગોળ ભંગાશે
કોંગ્રેસમાં પ્રમુખપદની ચૂંટણી થશે કે, કુ...
Sep 03, 2022
શ્રીલંકાના બંદરે ચીનના અદ્યતન જહાજની એન્ટ્રી, ભારત ચિંતાતૂર
શ્રીલંકાના બંદરે ચીનના અદ્યતન જહાજની એન્...
Aug 20, 2022
સલમાનનો આગામી ફિલ્મ 'ભાઈજાન'નો ફર્સ્ટ લૂક વાયરલ, એકટરે શેર કરી તસવીર
સલમાનનો આગામી ફિલ્મ 'ભાઈજાન'નો ફર્સ્ટ લૂ...
Aug 20, 2022
Trending NEWS

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

05 June, 2023

05 June, 2023

05 June, 2023